સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોની સમસ્યાઓના નિવારણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
• ગોરવા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના લોગાનું અનાવરણ
• દેશ આત્મનિર્ભરતા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યો છેઃ સીએમ
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોરવા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના લોગોનું અનાવરણ કર્યું છે. આ તકે તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે આવા ઉદ્યોગોના વિકાસ માટે અનેક પ્રોત્સાહક લીધા છે અને તેના પગલે દેશ આત્મનિર્ભરતા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે, રાજ્ય સરકારે આ વખતે સૌથી મોટું બજેટ આપ્યું છે. તેમાં આવા નાના અને લઘુ ઉદ્યોગો માટે પણ પ્રાવધાન કરી ઔદ્યોગિક વિસ્તારોમાં ભૌતિક સુવિધાઓની વૃદ્ધિ કરી રહી છે. આવા ઉદ્યોગો યુવાનોને રોજગાર આપવામાં અગ્રેસર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ઔદ્યોગિક વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જેમાં વીજળી, માર્ગો, પાણી સહિતનો સમાવેશ થાય છે. હજું પણ સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને જો કોઇ સમસ્યા હોય તો તેને નિવારવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
ગોરવા ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ એસોસીએશનના પ્રમુખ અને ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું કે, ઇન્ડ્રસ્ટ્રીયલ એસ્ટેટની આસપાસ વિકાસ કરવાની રાજ્ય સરકારની નેમ છે. આ એસોસીએશનમાં 572 કંપનીઓ, 7 ઔદ્યોગિક સંગઠનોનો સમાવેશ થાય છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે આ સંગઠન રચવાના બિજ રોપાયા હતા. જે અંકુરિત થયા છે. આ બેઠકમાં સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય કેયુરભાઇ રોકડિયા, ચૈતન્યભાઇ દેસાઇ સહિત એસોસીએશનના હોદ્દેદારો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.