ઈરાની પ્રતિનિધિમંડળ પર હુમલાનું જોખમ: વિમાન બદલીને ગુપ્ત રીતે તેહરાન પહોંચ્યા વિદેશ મંત્રી
તહેરાન, 15 એપ્રિલ 2026: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા સાથેની શાંતિ વાર્તા અનિર્ણિત રહ્યા બાદ પરત ફરી રહેલા ઈરાની પ્રતિનિધિમંડળને ગંભીર સુરક્ષા જોખમોનો સામનો કરવો પડ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ઈરાની રાજકીય વિશ્લેષક મોહમ્મદ મરાંદીના જણાવ્યા અનુસાર, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને સંસદ અધ્યક્ષ મોહમ્મદ-બાકેર ગાલિબાફ સહિતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે હુમલાના ડરથી અધવચ્ચે જ પોતાનું વિમાન બદલી નાખ્યું હતું.
લેબનાની ન્યૂઝ આઉટલેટ ‘અલ-મયાદીન’ સાથેની વાતચીતમાં તેહરાન યુનિવર્સિટીના પ્રોફેસર અને પ્રતિનિધિમંડળના સભ્ય મોહમ્મદ મરાંદીએ જણાવ્યું કે, “જ્યારે અમે ઇસ્લામાબાદ જઈ રહ્યા હતા ત્યારે જ અમને સીધી ધમકી મળી હતી કે અમારા વિમાન પર હુમલો થઈ શકે છે. આ જ કારણસર તેહરાન પરત ફરતી વખતે અત્યંત સાવધાની રાખવામાં આવી હતી.” સુરક્ષા પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને પ્રતિનિધિમંડળે માત્ર વિમાન જ નહોતું બદલ્યું, પરંતુ તેહરાન પહોંચવા માટે બસ અને ટ્રેન જેવા વૈકલ્પિક માર્ગોનો પણ સહારો લીધો હતો.
મરાંદીએ અમેરિકા પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, “અમે અમેરિકા પર બિલકુલ ભરોસો કરતા નથી. ઈરાન જાણે છે કે અમેરિકા કપટી છે, તેથી જ અમે રાજદ્વારી વાટાઘાટોની સાથે સાથે અમારી સૈન્ય ક્ષમતાઓને મજબૂત કરવામાં અને યુદ્ધના આગામી તબક્કાની તૈયારીમાં વ્યસ્ત છીએ.” બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે આગામી બે દિવસમાં પાકિસ્તાનમાં ફરીથી શાંતિ વાર્તા યોજાઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને સંભવિત યુદ્ધને રોકવા માટે વાતચીતનો દોર ફરી શરૂ થઈ શકે છે.
પાકિસ્તાની અને ઈરાની અધિકારીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને દેશોની વાટાઘાટ ટીમો આ અઠવાડિયાના અંત સુધીમાં ફરી પાકિસ્તાન પરત ફરી શકે છે. વોશિંગ્ટન અને તેહરાનને ફરીથી ઇસ્લામાબાદ આવી ચર્ચા શરૂ કરવા માટે દરખાસ્ત મોકલવામાં આવી છે, જોકે હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી.


