પશ્ચિમ બંગાળમાં બપોરે એક વાગ્યા સુધીમાં અધધ 62 ટકા કરતાં વધુ મતદાન
કોલકાતા, 23 એપ્રિલ, 2026 – પશ્ચિમ બંગાળમાં બપોરે એક વાગ્યા સુધીમાં અધધ 62 ટકા કરતાં વધુ મતદાન નોંધાયું છે. મતદાનની આ ટકાવારી ઐતિહાસિક ગણી શકાય. તેની સામે તમિલનાડુમાં આ જ સમયગાળા સુધીમાં 58 ટકા કરતાં વધુ મતદાન નોંધાયું છે.
તમિલનાડુ તથા પશ્ચિમ બંગાળમાં આજે ગુરુવારે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, જેમાં પશ્ચિમ બંગાળમાં તો બપોરે 1 વાગ્યા સુધીમાં 62.18% જેટલું પ્રોત્સાહક મતદાન નોંધાયું છે. ભારતીય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સવારે 11 વાગ્યા સુધી આ આંકડો 41.11% હતો, જે સૂચવે છે કે બપોરના સમયે મતદાનની ગતિમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.
આ પણ વાંચોઃ અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ફરી ભારત વિરોધી નિવેદનબાજી કરી, જાણો શું કહ્યું?
રાજ્યના 16 જિલ્લાની કુલ 152 બેઠકો પર સવારે 7 વાગ્યાથી શરૂ થયેલી આ પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાદિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે બંગાળની જનતામાં શાસક પક્ષ પ્રત્યે એટલો રોષ છે કે મમતા બેનર્જીના નેતૃત્વવાળી પાર્ટી અનેક શહેરોમાં પોતાનું ખાતું પણ ખોલાવી શકશે નહીં. તેમણે ખાસ કરીને મહિલાઓ અને યુવાનોને લોકશાહીના આ પર્વમાં મોટી સંખ્યામાં ભાગ લેવા વિનંતી કરી છે.
બીજી તરફ, ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં પોતાનો મત આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે જો મતદારયાદીમાંથી બોગસ અને મૃત મતોને સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા હોય, તો મમતા બેનર્જીની જીતની કોઈ શક્યતા નથી.
ચૂંટણીના આ ઉત્સાહ વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી હિંસાના અહેવાલો પણ પ્રાપ્ત થયા છે. મુર્શિદાબાદ જિલ્લાના નૌદામાં અજાણ્યા શખ્સો દ્વારા કરવામાં આવેલા ક્રૂડ બૉમ્બ બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ થયા હતા, જેને પગલે TMC અને AJUP ના કાર્યકરો સામસામે આવી ગયા હતા. આ જ જિલ્લામાં AJUP ના વડા હુમાયુ કબીર પણ TMC કાર્યકરો સાથે ઘર્ષણમાં ઉતરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચોઃ બંગાળ ચૂંટણી 2026: TMC કાર્યકરો અને હુમાયુ કબીર વચ્ચે ઘર્ષણ, દેશી બોમ્બ ફેંકાયો
પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે હુમાયુ કબીરે વિસ્ફોટ સ્થળની મુલાકાત લીધી, જેના પરિણામે પોલીસ અને રાજકીય કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા સુરક્ષા દળોએ ભીડને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જોકે, પોલીસે સ્પષ્ટતા કરી છે કે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે. આ ઉપરાંત, સમાચાર એજન્સી PTI ના જણાવ્યા અનુસાર રાજ્યના કેટલાક મતદાન મથકો પર EVM માં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે મતદાન પ્રક્રિયામાં થોડો સમય વિક્ષેપ પડ્યો હતો, પરંતુ વહીવટીતંત્રે ત્વરિત કાર્યવાહી કરી ખામીયુક્ત મશીનો બદલી નાખ્યા હતા.


