રામ મંદિરના નિર્માણ માટે ગુજરાતના વેપારીઓ આવ્યાં આગળ, કરોડોનું કર્યું દાન
અમદાવાદઃ અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના મંદિરના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દેશભરમાં લોકો પાસે મદદ માંગવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના વેપારીઓ મંદિર નિર્માણની કામગીરી માટે આગળ આવ્યાં છે. તેમજ કરોડોનું દાન કરી રહ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રીરામ મંદિરના નિર્માણ માટે નિધિ સમર્પણ અભિયાનની શરૂ કરવામાં આવ્યું છે. સુરતના હીરાના વેપારી ગોવિંદભાઇ ધોળકિયાએ રૂ. 11 કરોડ નું દાન આપ્યું છે જ્યારે સુરતમાંથી મહેશ કબૂતરવાલાએ 5 કરોડ, લવજી બાદશાહએ 1 કરોડ રૂપિયા દાન આપ્યું હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત વેપારીઓએ 5 લાખથી 21 લાખ સુધીનું દાન આપી રહ્યાં છે. ગુજરાતમાં વેપારીઓ અને પ્રજાની સાથે રાજકીય નેતાઓ પણ દાન કરવા માટે આગળ આવી રહ્યાં છે. ભાજપના સિનિયર નેતા ગોરધન ઝડફિયા અને સુરેન્દ્ર પટેલે પણ રૂ. 5-5 લાખનું દાન આપ્યું હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અભિયાનમાં સૌ પ્રથમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું છે. આ ઉપરાંત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એક લાખ રૂપિયાનું દાન આપ્યું છે..