ગાંધીનગર : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતી કાલે તા.27મીથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરના ભાટ ગામે અમૂલ ડેરીના નવા પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ સાથે અન્ય વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને પગલે ભાજપમાં હલચલ તેજ થઈ ગઈ છે. ચૂંટણીઓને લઈને પણ અમિત શાહની મુલાકાત વિશેષ માનવામાં આવી રહી છે. પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27- 28 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે ત્યારે તેમના કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી છે, જેમાં તેઓ ગાંધીનગરના ભાટ અમૂલ ડેરીના નવા પેકેજિંગ પ્લાન્ટને ખુલ્લો મૂકશે. આ સાથે અન્ય વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 નવેમ્બરે અમિત શાહ અમૂલના મિલ્ક પાઉડર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ગાંધીનગરમાં અમૂલ ડેરી ખાતે મિલ્ક પાઉડર પ્લાન્ટ બનાવાયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રીની અચાનક મુલાકાતને લઇને રાજકીય અટકળો પણ તેજ બની છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ ભાજપ દ્વારા જિલ્લાઓ અને તાલુકાઓમાં સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવી રહ્યા છે. ડિસેમ્બરમાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણી પહેલા કાર્યકર્તાઓને ચાર્જ કરવા માટે સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવી રહ્યા છે. અમિત શાહ ભાજપના ચાણક્ય ગણાય છે, ત્યારે પ્રદેશ અગ્રણીઓ દ્વારા અમિત શાહનું માર્ગદર્શન લેવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત 10મી જાન્યુઆરીથી યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાડર રહેવાના હોવાથી અમિત શાહ દ્વારા વાયબ્રન્ટ સમિટના કાર્યક્રમની પણ સમિક્ષા કરવામાં આવે તેવી પણ શક્યતા છે.