રાજકોટ: ગુજરાતમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) રાજકોટમાં સ્થાપવાનો નિર્ણય લેવાયા બાદ તબીબી સંસ્થા માટે જમીનની પણ ફાળવણી ત્વરિત કરી દેવામાં આવી હતી. અને બિલ્ડિંગ નિર્માણનું કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું, હોસ્પિટલ સંપૂર્ણ સાકાર થતા વાર લાગશે પણ AIIMS હોસ્પિટલની OPD સેવા ડિસેમ્બર મહિનાના અંતમાં શરૂ કરી દેવાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ AIIMSની કામગીરીનું નિરીક્ષણ કરવાની સૂચના આપી છે. જેના કારણે નવી AIIMS ખાતે પહોંચેલા રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ મુલાકાત લીધી હતી. બીજી તરફ AIIMS હોસ્પિટલના ડિરેકટરે રસ્તા, પાણી અને વીજળીની સમસ્યા હોવાનું જણાવ્યું હતુ. પ્રાથમિક સુવિધા ઝડપથી મળે અને શ્રમિકોની સંખ્યા વધે તો ઝડપથી કામ પૂર્ણ થાય તેવી રજૂઆત AIIMSના ડિરેકટરે રજુઆત કરી હતા.
રાજકોટ એઇમ્સના ડાયરેક્ટરે રાજકોટની ભગોળે પરાપીપળીયા પાસે નિર્માણ પામતી AIIMS હોસ્પિટલમાં આગામી 31 ડિસેમ્બરથી ઓપીડી શરૂ કરી દેવાની લીલીઝંડી આપી દીધી છે અને જણાવ્યું હતું કે, કામ અધુરૂ હશે તો પણ દર્દીઓને સારવારની સુવિધા આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે આગામી એક-બે મહિનામાં કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તા.15 ડિસેમ્બરે બિલ્ડિંગની સોંપણી કરાશે. જેના આગલા દિવસથી જ ઓપીડીના લોકોને બોલાવવામાં આવશે અને 31 ડિસેમ્બરે શરૂ થનારી ઓપીડીની તૈયારીઓ કરી દેવામાં આવશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ AIIMSની કામગીરીનું નિરીક્ષણ કરવાની સૂચનાના પગલે આજે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ બાંધકામ સાઇટની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે રાજકોટમાં AIIMSનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. હાલ એઇમ્સમાં મિલીટરીના ધોરણે કામગીરી ચાલી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સ્વપ્નને સાકાર કરવા અને આરોગ્ય માટેની સગવડો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે જાહેરાત કરી હતી તેને સાકાર કરવામાં આવશે.