ઉત્તરપ્રદેશઃ લાંબા સમય બાદ આજથી પ્રાથમિક શાળાઓ શરુ કરવામાં આવી, સીએમ યોગીએ આપ્યો ખાસ સંદેશ
- યુપીમાં આજથી પ્રાથમિક શાળાઓ શરુ
- કોરોનાના નિયમોનું કરવું પડશે પાલન
લખનૌઃ- સમગ્ર દેશભરમાં વિતેલા વર્ષથી જ કોરોના મહામારીને કારણે અનેક શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવામાં આવી હતી અને ઓનલાઈન અભ્યાસ ચાલુ કરાયો હતો,ત્યારે ઉત્તરપ્રદેશમાં છેલ્લા સાત મહિનાથી બંધ રહેલી પ્રાથમિક શાળાઓ આજરોજ બુધવારે ખોલવામાં આવી હતી.
આજરોજ વહેલી સવારે રાજ્યની શાળાઓમાં બાળકો હર્ષોલ્લાસ સાથે આવી પહોંચ્યા હતા. ગ્રામીણ વિસ્તારોમાં, લોકો લાંબા સમયથી શાળાઓ ખોલવાની માંગ કરતા હતા, પરંતુ કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે સરકાર આ નિર્ણય લેવામાં અસમર્થ હતી.
ત્યારે હવે ઘણા નિષ્ણાતોની સલાહ બાદ સરકારે 1 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો હતો. આજે આ નિર્ણય અંતર્ગત બાળકો માટે શાળાઓ ખોલવામાં આવી છે. આ પ્રસંગે સીએમ યોગી આદિત્યનાથે બાળકોને શુભેચ્છાઓ પાઠવી છે અને તેમને સાવધાન રહેવાની સલાહ પણ આપી છે. એક ટ્વિટ દ્વારા મુખ્યમંત્રીએ શિક્ષકોને તમામ બાળકોની સંભાળ રાખવા પણ વિનંતી કરી છે.
સીએમ યોગીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, ‘કોરોના મહામારીને કારણે, છેલ્લા 7 મહિનાથી બંધ સ્કૂલો આજે 1 લી સપ્ટેમ્બરથી ફરી શરૂ થઈ રહી છે. તમામ બાળકોને શુભેચ્છાઓ. તમામ શિક્ષકોને નમ્ર વિનંતી છે કે તેઓ દરેક બાળકોનું ખાસ ઘ્યાન રાખે. કોઈ પણ સંજોગોમાં કોરોના પ્રોટોકોલનું પાલન થાય છે તેમાં તમારું યોગદાન આપો’
આ પહેલા ટીમ 9 સાથેની બેઠકમાં સીએ યોગીએ શાળાઓમાં કોવિડ પ્રોટોકોલની સંપૂર્ણ કાળજી રાખવા માટે કડક સૂચના આપી હતી. તેમણે કહ્યું કે શાળાઓમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સેનિટાઈઝેશનનું કામ દરરોજ થવું જોઈએ. શિક્ષણની સાથે બાળકોની સલામતી પર પણ સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ.