ઉત્તરપ્રદેશઃ આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં BJPના વિજયનો CM યોગીને વિશ્વાસ
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં નૈતૃત્વ પરિવર્તન અને કેબિનેટમાં ફેરફાર સહિતની વહેતી થયેલી અટકળો ઉપર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ પૂર્ણવિરામ મુકતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવશે. આરએસએસ અને ભાજપના ટોચના નેતાઓના ઉત્તરપ્રદેશ પ્રવાસને લઈને વિવિધ અટકળો વહેતી થઈ હતી.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ઈન્ટરવ્યુહમાં જણાવ્યું હતું કે, કેટલાક લોકો ભાજપ અને આરએસએસના નેતાઓની મુલાકાત અને બેઠકોને લઈને વિવિધ ચર્ચાઓ કરી રહ્યાં છે. ભાજપ એક કેડર આધારિત પાર્ટી છે. જે ભાઈ-ભત્રીજાવાદ ઉપર નથી ચાલતી અને રાજ્યના નેતાઓ સાથે બેઠકો કરે છે. પ્રભારી રાધા મોહનસિંહે મહિનામાં બે વખત ઉત્તરપ્રદેશ આવે છે. તેમજ પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડા ચાર મહિના પહેલા લખનૌ આવ્યાં હતા.
વિધાનસભાની ચૂંટણીને લઈને તેમણે કહ્યું હતું કે, અમે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ. અમે વર્ષ 2014 અને 2017માં ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી તથા 2019ની લોકસભાની ચૂંટણી જીત્યાં હતા. અમે માત્ર કોરોના વાયરસ સામે નહીં પરંતુ રાજનૈતિક ચેપની સામે પણ લડાઈ લડી રહ્યાં છીએ. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નૈતૃત્વમાં આ લડાઈ ચાલુ રાખીશું. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો બે તૃંતિયાસથી વિજય થશે.
યોગીએ રાષ્ટ્રીય મહત્વાકાંક્ષા મુદ્દે થતી અટકળો અંગે કહ્યું હતું કે, જ્યારે હું સાંસદ હતો ત્યારે મારી કોઈ મહત્વાકાંક્ષા ન હતી અને આજે પણ નથી. હું ભાજપનો એક સામાન્ય સૈનિક છું. ભાજપનું વિઝન અને પીએમ મોદીના અભિયાન વિકાસ, સુરક્ષા અને સમૃદ્ધિ માટે કામ કરું છું. રાજ્યમાં ચાર વર્ષમાં જેટલા વિકાસના કામો થયાં છે તેનાથી ખુશ છું. લોકોએ જોવું જોઈએ કે હવે ઉત્તરપ્રદેશ પહેલા જેવુ રાજ્ય નથી રહ્યું, પહેલા અહીં અવાર-નવાર તોફાન થતા હતા. જાતિ, સમુદાય અને ભાષ।ને પ્રાથમિકતા આપવા માટે અહીં કોઈ જગ્યા નથી. રાજ્ય પ્રતિ વ્યક્તિની આવકના મામલે નંબર વન બનશે.