વિરાટ કોહલીને કેપ્ટન તરીકે વધારે સમય આપવાની જરૂર છે: ક્રિકેટર સુરેશ રૈના
- સુરેશ રૈનાએ વિરાટ કોહલીની કેપ્ટનશિપને આપ્યું સમર્થન
- કહ્યું થોડો વધારે સમય કેપ્ટન તરીકે આપવાની જરૂર
- વિરાટની કેપ્ટનશિપ પર થઇ રહ્યા છે સવાલ
મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમ ભલે વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં મેચ જીતવાનો રેકોર્ડ બનાવી રહી હોય, પરંતુ હજુ પણ આઈસીસીની કોઈ ટુર્નામેન્ટ જીતવામાં સફળ રહી નથી. ભારતીય ક્રિકેટ ટીમ જ્યારથી ન્યૂઝીલેન્ડ સામે આઈસીસીની ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ હારી છે ત્યારથી કોહલીને કેપ્ટન પદે ચાલુ રહેવા દેવો જોઈએ કે નહીં તે અંગે ક્રિકેટ ચાહકોમાં સામ-સામી દલીલો પણ થઈ રહી છે.
આવા સમયમાં ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ વિરાટ કોહલીના સમર્થનમાં નિવેદન આપ્યું છે અને જણાવ્યું કે વિરાટને કેપ્ટન તરીકે વધારે સમય આપવાની જરુર છે. ભારત વિરાટની કેપ્ટનશિપ હેઠળ ત્રણ વખત આઈસીસી ટ્રોફીની નજીક પહોંચી ગયું હતું. જેમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલ, 2019 ક્રિકેટ વર્લ્ડ કપ સેમીફાઈનલ અને હાલમાં જ રમાયેલી આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ.
વાતચીતમાં રૈનાએ કહ્યું હતું કે, મારુ માનવું છે કે, તે નંબર વન કેપ્ટન છે અને તેમના રેકોર્ડથી ખબર પડે છે કે તેમની પાસે ઘણી ઉપલબ્ધી છે.તે દુનિયાના નંબર વન બેટસમેન પણ છે. એ વાત સાચી છે કે વિરાટે હજી એક પણ આઈસીસી ટ્રોફી જીતી નથી પણ મારું માનવું છે કે, તેમને વધારે સમય આપવાની જરુર છે.આવનારા સમયમાં બે ટી-20 વિશ્વ કપ, એક 50 ઓવરનો વિશ્વકપ રમાવાનો છે.