
જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસને નડ્યો ગમખ્વાર અકસ્માત, 15ના મોત
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. ગુરુવારે, જમ્મુ જિલ્લામાં તીર્થયાત્રીઓથી ભરેલી બસ રસ્તા પરથી ઉતરીને સાઈટમાં ખાડામાં ખાબકી હતી. જેમાં 15 વ્યક્તિઓના મોત થયાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
જમ્મુ અને કાશ્મીર ટ્રાન્સપોર્ટ કમિશનર રાજીન્દર સિંહ તારાએ જણાવ્યું કે 15 લોકોના મોત થયા છે અને 15 ઘાયલ છે. આ અકસ્માત ચોકી ચોરાના તંગલી વળાંક પર થયો હતો. અધિકારીએ જણાવ્યું કે બસ લગભગ 150 ફૂટ નીચે ખાડામાં ખાબકી હતી.
મળતી માહિતી મુજબ, આ બસ હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારથી તીર્થયાત્રીઓને શિવ ખોરી વિસ્તાર લઈ જઈ રહી હતી. રાજિન્દર સિંહ તારાએ કહ્યું, “બસ શિવ ખોરી તરફ જઈ રહી હતી. અહીંનો વળાંક એકદમ સામાન્ય છે. કદાચ ડ્રાઈવરને ઝોકુ આવી જતા આ દૂર્ઘટના સર્જાઈ હોવાનું લાગી રહ્યું છે. બસમાં 50 જેટલા મુસાફરો સવાર હતા.
આ અકસ્માત અખનૂર શહેરથી લગભગ 15 કિલોમીટર દૂર થયો હતો, જ્યારે બસ અચાનક રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડી હતી. ભારતીય સેનાએ ક્વિક રિએક્શન મેડિકલ ટીમ તૈનાત કરાઈ હતી. તેઓ બચાવ કાર્યમાં પ્રશાસનને મદદ કરી રહ્યા હતા. ઈજાગ્રસ્તોને અકસ્માત સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા હતા અને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ઘટના પર કહ્યું હતું કે, “જમ્મુના અખનૂર પાસે બસ દુર્ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.”