અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં રોજબરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે બુધવારે રાજ્યમાં કોરોનાના 9,941 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 3843 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે કોરોનાને લીધે ચાર વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં સુરતમાં-2, રાજકોટ અને વલસાડમાં એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યમાં નોંધાતા કોરોનાના કેસોના પોઝિટિવિટી રેટમાં અમદાવાદ અને સુરત બાદ વડોદરા આવે છે, રાજ્યમાં આજે સાંજના 5 વાગ્યા સુધીમાં 3,02,033 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 9,41,33,701 લોકો વેક્સિનેશન થયેલા છે.
રાજ્યમાં કોરોનાના કેસ વધતા જાય છે. ગઈકાલે મંગળવારે રાજ્યમાં કોરોનાના 7,476 કેસ નોંધાયા હતા. આજે બુધવારે 9,941 કેસ નોંધાતા 2465 કેસનો વધારો થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં ગઈકાલે મંગળવારે 2861 કેસ નોંધાયા હતા. જ્યારે આજે બુધવારે 3846 કેસ નોંધાતા 985 કેસનો વધારો થયો છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. પરંતુ આજે બુધવારે ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો ન હતો. જ્યારે આજે અગાઉ ઓમિક્રોનથી સંક્રમિત થયેલા 13 દર્દીઓ સાજા થઈ જતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
રાજ્યમાં સરકારે કોરોનાના વધતા કેસને લઈને નિયંત્રણો વધુ કડક બનાવ્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબીનેટની બેઠકમાં કોરોનાની વણસતી જતી સ્થિતિને પહોંચી વળવા માટે ચર્ચા કરવામાં આવી હતી. કેબીનેટની બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર. પાટિલ વચ્ચે બેઠક યોજાઈ હતી.જેમાં કોરોનાની સ્થિતિને પહોંચી વળવા અને જરૂર પડ્યે સંગઠનને પણ સેવા કાર્યમાં જોડવા માટે ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતમાં કોરોનાના આજે 9,941 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 3843 કેસ, સુરત શહેરમાં 2505 કેસ, વડોદરા શહેરમાં 776 કેસ, આણંદમાં 98 કેસ, કચ્છમાં 105 કેસ, રાજકોટ શહેરમાં 319 કેસ, ખેડામાં 94, કેસ ભરૂચમાં 217 કેસ, અમદાવાદ જિલ્લામાં 61 કેસ, ગાંધીનગર શહેરમાં 150 કેસ, અને જિલ્લામાં 94,રાજકોટ જિલ્લામાં 56 કેસ, ભાવનગર શહેરમાં 130 કેસ અને જિલ્લામાં 26 કેસ, જામનગર શહેરમાં 77 કેસ, તેમજ સાબરકાંઠામાં 35 અને બનાસકાંઠામાં 53 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે આજે ચારના મોત નિપજ્યા હતા.જેમાં સુરતમાં-2 અને વલસાડ અને રાજકોટમાં એક-એકનો સમાવેશ થાય છે.