સૌરાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર બેરોજગાર બનેલા કૂલીઓને રાશનકિટ્સનું વિતરણ કરાયું
રાજકોટઃ રાજ્યમાં કોરોનાને કારણે મીની લોકડાઉન લદાતા રોજનું લાવીને રોજ ખાતા શ્રમજીવીઓની હાલત કફોડી બની છે. પરંતુ આવા શ્રમજીવીઓને મદદ કરવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે. કોરોનાને લીધે પરિવહન ક્ષેત્રને પણ સારીએવી અસર થઈ છે. મસાફરો ન મળતા હોવાને કારણે પશ્વિમ રેલવેએ અનેક ટ્રેનો રદ કરી છે. ત્યારે રેલવે સ્ટેશન પર કાર કરતા કૂલીઓની હાલત કફોડી બની છે. કેટલીક ટ્રેનો ચાલુ છે પણ મુસાફરો કોરોનાના ડરને લીધે પોતાનો સામાન કૂલીઓને આપતા નથી. એટલે કૂલીઓ બેરોજગાર બની ગયા છે. ત્યારે આવા કૂલીઓને મદદ કરવા માટે અરહમ યુવા સેવા ગૃપ આગળ આવ્યુ છે. રાજકોટ રેલવે સ્ટેશન પર કામ કરતા કૂલીઓને રાશન કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારી અને તેને લઈને ચાલતા લોકડાઉન દરમિયાન જરૂરતમંદ લોકોને સહાયરૂપ થવા તેમના જીવન નિર્વાહ માટે જરૂરી વસ્તુઓ ઉપલબ્ધ કરાવવા રાજકોટ ડિવિઝનના કુલીઓને રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું. સ્વયંસેવી સંસ્થા અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા રાષ્ટ્રીય સંત નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી રાજકોટ રેલવે સ્ટેશન પર કુલીઓને રાશનના સામાનની કીટનું વિતરણ કરવામા આવ્યું હતું. આ કીટમાં જીવન નિર્વાહ માટે જરૂરી સામાન જેવો કે લોટ, મગની દાળ, તુવેર, દાળ, ગોળ, તેલ, મમરા હળદર વગેરે સામેલ છે. રાજકોટ સહિત સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, જામનગર, દ્વારકા, રેલવે સ્ટેશને કુલ 44 કુલીઓને આ કીટ અપાઈ હતી.