રાંધણ ગેસ માટે LPG બાટલા બંધ થઈ જશે, જાણો સરકારી આદેશમાં શું કહ્યું છે?
નવી દિલ્હી, 25 માર્ચ, 2026: અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે ઊભી થયેલી રાંધણગેસના બાટલા LPGની કથિત કટોકટીને પગલે હવે પાઈપ દ્વારા ઉપલબ્ધ ગેસ (PNG) ફરજિયાત કરવું પડે એવા સંજોગોનું નિર્માણ થયું છે. કેન્દ્ર સરકારે આ માટે આદેશ પણ જારી કરી દીધો છે.
દેશમાં, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં પાઈપ દ્વારા રાંધણ ગેસની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં અનેક લોકો તેનો સ્વીકાર કરતા નથી. કદાચ એ જ કારણે સરકારે હવે એક આદેશ દ્વારા રાંધણગેસ માટે પીએનજી ફરજિયાત કરવાનો આદેશ જારી કર્યો છે. સરકારે નવા આદેશ હેઠળ જણાવ્યું છે કે જ્યાં પાઈપ્ડ નેચરલ ગેસ એટલે કે PNG કનેક્ટિવિટી ઉપલબ્ધ છે ત્યાં જો ગ્રાહકો PNGનો વિકલ્પ નહીં સ્વીકારે તો તે ઘરમાં LPG ગેસ સપ્લાય 3 મહિનાની અંદર બંધ કરી દેવામાં આવશે. આ પગલું ગેસ નેટવર્કનો વિસ્તાર ઝડપી બનાવવા અને એક જ ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને અન્ય વૈશ્વિક પુરવઠા અવરોધોને કારણે ભારતમાં LPGની અછત વર્તાઈ રહી છે. આ જ કારણસર સરકાર ઘરો અને વ્યાપારી ગ્રાહકોને PNG તરફ વળવા પ્રોત્સાહિત કરી રહી છે. PNG પાઈપલાઈન દ્વારા ગેસ સીધો રસોડા સુધી સપ્લાય થાય છે, જેનાથી વારંવાર સિલિન્ડર બુક કરવાની જરૂરિયાત પૂરી થઈ જાય છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે નેચરલ ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદન વિતરણ (પાઈપલાઈન અને અન્ય સુવિધાઓનું નિર્માણ, સંચાલન અને વિસ્તરણ દ્વારા) આદેશ, 2026 જાહેર કર્યો છે. તેનો ઉદ્દેશ્ય પાઈપલાઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વિકસાવવા, મંજૂરી પ્રક્રિયા સરળ બનાવવા અને LPG થી PNGમાં પરિવર્તનને પ્રોત્સાહન આપવાનો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ ઘર દ્વારા PNG કનેક્શન લેવામાં આવ્યું નથી અને તે તકનીકી રીતે શક્ય છે, તો 3 મહિના પછી LPG સપ્લાય રોકી દેવામાં આવશે. જો તકનીકી રીતે PNG કનેક્શન આપવું શક્ય ન હોય, તો નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ એટલે કે NOC આપવામાં આવશે અને તે સ્થિતિમાં LPG સપ્લાય ચાલુ રહેશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં 900 સોસાયટીઓને પીએનજીના નેટવર્કમાં 3 મહિનામાં આવરી લેવાશે
સરકારનો હેતુ શું છે?
સરકારનું આ પગલું એ વિસ્તારોમાંથી LPG પુરવઠો મુક્ત કરવાનું છે જ્યાં પાઈપલાઈન કનેક્ટિવિટી ઉપલબ્ધ છે, જેથી તેને એવા વિસ્તારોમાં સ્થાનાંતરિત કરી શકાય જ્યાં પાઈપલાઈન નથી. સાથે જ આ ઈંધણ વૈવિધ્યકરણ અને ઊર્જા સુરક્ષાને મજબૂત કરવાનો પ્રયાસ છે. ઓઈલ સેક્રેટરી નીરજ મિત્તલે આ આદેશ અંગે X પર જણાવ્યું હતું કે, “આ સંકટને તકમાં બદલવામાં આવ્યું છે.” આ આદેશ દ્વારા હવે ઘરો માટે PNG તરફ વળવું અનિવાર્ય બનશે અને LPG સિલિન્ડરનો સપ્લાય માત્ર એવા ઘરો સુધી મર્યાદિત રહેશે જ્યાં PNG કનેક્શન તકનીકી રીતે ઉપલબ્ધ નથી.
With guidance of @PMOIndia and @HardeepSPuri the Natural Gas infrastructure – PNG and CNG gets major ease of doing business reforms – witness rapid expansion of CGD network across the country – a crisis turned into an opportunity @gailindia @PNGRB_ pic.twitter.com/btcnKrDt6j
— Neeraj Mittal IAS (@neerajmittalias) March 24, 2026
આદેશના મુખ્ય મુદ્દા
- પાઈપલાઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઝડપી અમલીકરણ માટે સરકારી સત્તાધિકારીઓએ સમયમર્યાદામાં પરવાનગી આપવી પડશે; નિર્ધારિત સમયમાં પરવાનગી ન આપવા પર તેને મંજૂરી માની લેવામાં આવશે.
- રહેણાંક વિસ્તારોમાં કનેક્ટિવિટી માટેની પરવાનગી 3 કામકાજના દિવસોમાં અને અંતિમ માઈલ PNG કનેક્શન 48 કલાકમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- પાઈપલાઈન નાખવા માટે પરવાનગી ન આપવા અથવા વિલંબ કરવા પર, અધિકારીઓ સિવિલ કોર્ટ જેવી સત્તાઓ સાથે હસ્તક્ષેપ કરી શકશે.
- મંજૂરી મળ્યાના 4 મહિનાની અંદર પાઈપલાઈન બિછાવવી અનિવાર્ય છે; તેમ ન કરવા બદલ દંડ અને વિશિષ્ટ અધિકારો ગુમાવવાનું જોખમ રહેશે.
- PNGRB ને આ આદેશના અમલીકરણ અને પાલનની દેખરેખ રાખતી નોડલ એજન્સી બનાવવામાં આવી છે. આ વ્યવસ્થા વાજબી અને પારદર્શક રીતે કાર્ય કરે તે સુનિશ્ચિત કરવું એ આ એજન્સીનું મહત્ત્વનું કામ રહેશે.


