મમતા બાદ હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેના તુટી, 6 સાંસદોએ એકનાથ શિંદેને આપ્યું સમર્થન
નવી દિલ્હી, 17 જૂન 2026: પશ્ચિમ બંગાળમાં વિધાનસભામાં ટીએમસીના પરાજ્ય બાદ ભારે રાજકીય ઉથલપાથલ સર્જાઈ હતી અને ટીએમસીના અનેક સાંસદોએ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. હવે મહારાષ્ટ્રમાં રાજકીય ઉપથપાથલ શરૂ થઈ છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ભંગાણ પડ્યું છે. શિવસેનાના છ સાંસદોએ પાર્ટી સામે બળવો કરીને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને સમર્થન આપ્યું હોવાનું જાણવા મળે છે. જેમાં સંજ્ય જાધવ, સંજ્ય દેશમુખ, નાગેશ પાટિલ, ઓમરાજે નિંબાલકર, ભાઉસાહેબ વાકચૌગે અને સંજ્ય દીના પાટીલનો સમાવેશ થાય છે.
ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ભંગાણની વચ્ચાઓ વચ્ચે પાર્ટીના નેતા સંજ્ય રાઉતે બળવાખોર સાંસદોને પડકાર આપ્યો હતો કે, તેઓ પાર્ટી છોડવા માંગતા હોય તો રાજીનામુ આપે. રાઉતે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, જો પાર્ટીમાં 2022ની જેમ ફરીથી ફુટ પાડવાના પ્રયાસ કરવામાં આવશે તો મહારાષ્ટ્રની પ્રજા અને શિવસેના(યુબીટી)ના સાંસદો ચુપ બસવાના નથી. સંજ્ય રાઉતની પ્રેસકોન્ફરન્સમાં લોકસભાના ત્રણ સાંસદ અરવિંદ સાવંત, અનિલ દેસાઈ અને રાજાભાઈ વાજે ઉપસ્થિત રહ્યાં હતા. તેમણે બળવાખોર સાંસદોને કહ્યું કે, ઉદ્ધવ ઠાકરો અને શિવસેના(યુબીટી)ના કાર્યકરોએ સાંસદોની જીત સુનિશ્ચિત કરવા માટે ખુબ મહેનત કરી છે. જો હવે પાર્ટી જ બદલવી હોય તો પહેલા રાજીનામુ આપે.
રાજ્યસભાના સાંસદે જણાવ્યું હતું કે, શિવસેના (યુબીટી)ની પાસે સાંસદોની પાર્ટી છોડવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત આવી નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે, મહારાષ્ટ્રના સાંસદોને રૂ. 15-15 કરોડમાં ખરીદવામાં આવી રહ્યાં છે. રાઉતે જણાવ્યું હતું કે, જો ટીએમસી અને શિવસેના જેવા પક્ષોને તોડવામાં આવે તો ચૂંટણી લડવાનો કોઈ મતલબ રહેતો નથી.


