નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપનો સાથ છોડીને આરજેડી સહિતના વિપક્ષ સાથે મળીને ફરીથી સત્તા સંભાળી હતી. તેમજ નીતિશ કુમાર હવે 2024માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને ઘર ભેગી કરવા માટે વિપક્ષને એક કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. બીજી તરફ ભાજપએ નીતિશકુમારનો બિહારમાં જ ઘડો લાડવો કરવાની રણનીતિ તૈયાર કરી રહ્યું છે. એટલું જ નહીં નીતિશકુમારને ઘર ભેગા કરવા માટે હવે ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મિશન હાથમાં લીધું હોવાનું રાજકીય આલમમાં ચર્ચાઈ રહ્યું છે. ઉત્તરપ્રદેશની જેમ જ બિહારમાં રણનીતિ ઘડી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ભાજપનું હાલનું લક્ષ્ય સીમાંચલ વિસ્તારમાં જનાધાર પર ધ્યાન કેન્દ્રીત કરવાનું છે. નીતિશ કુમારના એનડીએથી અલગ થયા બાદ ભાજપ બિહારમાં પોતાની રણનીતિને નવેસરથી તૈયાર કરી રહી છે. તેના પછી ભાજપના મોટા નેતાઓએ બિહાર પર ફોકસ વધારી દીધું છે. અમિત શાહ 23 સપ્ટેમ્બરે બિહારની મુલાકાતે છે. તેમના પહેલા 18 સપ્ટેમ્બરે મોદી એટ ધ રેટ 20 પુસ્તકના લોન્ચિંગ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ પટના જઈ રહ્યાં છે. અમિત શાહની બિહારની મુલાકાતને લઈને નેતાઓએ કમર કસી લીધી છે. ખાસ કરીને ધ્રુવીકરણની વધુ સંભાવના ધરાવતા સીમાંચલ પર ભાજપનું ફોકસ છે. ભાજપે યુપી અને ઝારખંડની જેમ બિહારમાં પણ પોતાના દમ પર આગળ વધવાની વ્યૂહરચના અખત્યાર કરવાનું શરૂ કરી દીધું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં તમામ વિપક્ષનો એક જ લક્ષ્ય ભાજપને પરાસ્ત કરવાનો છે. જેથી નીતિશ કુમાર રહેલા પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ પણ વિવિધ રાજ્યોના સ્થાનિક પક્ષોને સાથે લાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સતત પીછેહઠ કરી રહેલી કોંગ્રેસ હવે પોતાને વધારે મજબુત બનાવવા સમગ્ર દેશમાં અભિયાન શરૂ કરાયું છે.