ઉત્તર પ્રદેશ, દિલ્હી અને પંજાબમાં રૂ. 450 કરોડના બેંક કૌભાંડ મામલે ઈડીના દરોડા
નવી દિલ્હી, 24 જુલાઈ 2026: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા શુક્રવારે એક મોટી અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના બુલંદશહેર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને પંજાબમાં એકસાથે અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી અંદાજે 450 કરોડ રૂપિયાના કથિત બેંક કૌભાંડ મામલે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. ઈડીના લખનૌ ઝોનલ કાર્યાલય દ્વારા ચલાવવામાં આવી રહેલા આ ઓપરેશન દરમિયાન ‘મેસર્સ સંતોષ ઓવરસીઝ લિમિટેડ’ અને તેની સાથે સંકળાયેલી અન્ય કંપનીઓના વિવિધ પરિસરોની સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ એજન્સીની આ કાર્યવાહી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા બેંક ફ્રોડના મામલે અગાઉ નોંધવામાં આવેલી એફઆઈઆર પર આધારિત છે.
તપાસમાં સામે આવ્યું છે કે સંતોષ ઓવરસીઝ લિમિટેડ દ્વારા અનેક બેંકોના એક કન્સોર્ટિયમ પાસેથી આશરે 450 કરોડ રૂપિયાની લોન લેવામાં આવી હતી. આ લોનની રકમનો ઉપયોગ નિર્ધારિત હેતુ અથવા પ્રોજેક્ટ માટે કરવાને બદલે તેનાથી વિપરીત અન્યત્ર દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ નાણાકીય ગેરરીતિ અને લોનની રકમ અન્યત્ર પરિવર્તિત કરવાને કારણે સરકારી અને ખાનગી બેંકોને મસમોટું નાણાકીય નુકસાન સહન કરવું પડ્યું છે. ઈડી દ્વારા હાલ આ સમગ્ર કૌભાંડના નેટવર્કને તોડી પાડવા અને ગેરકાયદેસર રીતે વસાવવામાં આવેલી સંપત્તિઓની ઓળખ કરવા માટે દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.


