ગુજરાત યુનિવર્સિટીમાં કર્મચારીઓએ 50 ટકા રોટેશન મુજબ હાજર રહી કામગીરી શરૂ કરી
અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ સહિત અડધો ડઝન કર્મચારીઓ કોરોના પોઝિટિવ બન્યા હતા. જેથી યુનિવર્સિટીમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જેને કારણે 5 દિવસ સુધી યુનિવર્સિટીની કામગીરી ઓફલાઈન બંધ કરવામાં આવી હતી અને વર્ક ફ્રોમ હોમનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજથી યુનિવર્સિટીમાં 50 ટકાની કેપેસિટી સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. કર્મચારીઓને રોટેશન મુજબ ફરજ પર બોલાવવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીમાં ઉપકુલપતિ સહિત અડધો ડઝન કર્મચારીઓ કોરોનામાં સપડાતા તમામ કર્મચારીઓને પાંચ દિવસ સુધી વર્ક ફ્રોમ હોમનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાંચ દિવસનો સમય પૂર્ણ થતા આજથી ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાને કારણે 50 ટકા સ્ટાફ સાથે જ કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત યુનિવર્સિટીમાં ઓડ ઈવન પદ્ધતિથી કામ કરવામાં આવશે. કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં પણ કોરોનાએ એન્ટ્રી લીધી હતી.
ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ જગદીશ ભાવસાર કોરોનાથી સંક્રમિત થયા હતા. આ ઉપરાંત લાયબ્રેરિયન યોગેશ પરીખ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ઉપરાંત અન્ય 4 કર્મીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે.અઠવાડિયા અગાઉ ભાષા ભવનના કર્મચારીનું કોરોનાને કારણે મોત થયું હતું. જેથી યુનિવર્સિટીમાં પણ કોરોનાને કારણે ડર ફેલાયો હતો.