અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરાં અને ક્રૂઝની સેવા શરૂ કરાશે
અમદાવાદઃ શહેરના સાબરમતી નદી પરનું રિવરફ્રન્ટ હરવા ફરવા માટેનું મનપસંદ સ્થળ છે. લોકો અહીંયા પોતાના બાળકોને પાર્કમાં લઈને આવે છે. લોકો સાંજના સમયે નદીના કિનારે હવા ખાવા આવે છે, ઘણાં લોકો અહીં સાયકલિંગ કરવા અથવા કસરત કરવા પણ આવે છે. હવે રિવરફ્રન્ટ પર નવું નજરાણું ઉમેરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અનુભવી કંપનીઓ પાસેથી રિવર ક્રૂઝ અને ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરુ કરવા માટે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મ્યુનિ.કોર્પોરેશને રિવરફ્રન્ટ સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ અને ક્રુઝ સેવા પુરી પાડવા ટેન્ડર બહાર પાડ્યું છે. 11મી ઓક્ટોબર સુધી કંપનીઓ પાસેથી પ્રપોઝલ આવી જશે અને પછી બે મહિનામાં મંજૂરી આપી દેવામાં આવશે. પસંદગી પામેલી કંપનીને બે મહિનામાં અમલ કરવાનો આદેશ આપવામાં આવશે. આ પરથી કહી શકાય કે, ઓછામાં ઓછા છ મહિનામાં સાબરમતી રિવરફ્રન્ટ પર રિવર ક્રૂઝ અને તરસી રેસ્ટોરન્ટ શરુ થઈ જશે. આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ મોટી હશે અને તેમાં એકસાથે 50-100 લોકો બેસીને જમી શકશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અહીં નાની-મોટી પાર્ટીઓનું પણ આયોજન થઈ શકશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વર્ષ 2019માં સાબરમતી રિવરફ્રન્ટ કંપની દ્વારા ફ્લોટિંગ રેસ્ટોરાં કે ક્રૂઝ શરુ કરવાનું આયોજન કર્યુ હતું અને અનુભવી કંપનીઓએ રસ પણ દાખવ્યો હતો. પરંતુ કામગીરી આગળ વધે તે પહેલા કોરોના મહામારી શરુ થઈ ગઈ અને કામ ખોરંભે પડી ગયુ હતું. હવે જ્યારે સ્થિતિ સામાન્ય બની રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ કામને ફરીથી શરુ કરવા માંગે છે. એક બે અનુભવી કંપનીઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ કંપનીના અધિકારીઓ સમક્ષ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા છે. તમામ કંપનીઓ પાસેથી રિક્વેસ્ટ પ્રપોઝલ મંગાવવામાં આવ્યા છે.
સૂત્રોના કહેવા મુજબ સાત વર્ષ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લોટિંગ રેસ્ટોરાં માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા અને એક કંપની દ્વારા તૈયારી પણ દર્શાવવામાં આવી હતી. પરંતુ કંપનીએ બાંહેધરી માંગી હતી કે સાબરમતી નદીમાં બારેમાસ પાણી રહેવું જોઈએ. તંત્ર દ્વારા આ પ્રકારની બાંહેધરી આપવાનો ઈનકાર કરી દીધો હતો. હવે આ કામ ફરીથી શરુ કરવામાં આવ્યું છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સમાપ્ત કરવાનું તંત્રનું આયોજન છે.