GSTના અધિકારીઓ સર્વ દરમિયાન રિકવરી નહીં કરી શકે
અમદાવાદઃ ગુજરાતમાં જીએસટી માટે અધિકારીઓ દ્વારા સર્ચ કરવામાં આવે છે. ત્યારે હવે અધિકારીઓ સર્વ દરમિયાન કોઈપણ રીતે રિકવરી નહીં કરી શકે. જો રિકવરી કરવામાં આવશે તો અધિકારી સામે પગલા ભરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીમાં એક વેપારીને ત્યાં જીએસટીના અધિકારીઓ દ્વારા સર્ચ દરમિયાન રિકવરી મામલે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. આ અરજીની સુનાવણીમાં જીએસટીના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહી શક્યાં ન હતા. જેની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી હતી. તેમજ ટકોર કરી હતી કે, રીકવરી કરવા માટે સવાર થવાની રાહ નથી જોતા તો કોર્ટમાં સુનાવણીમાં કેમ મોડા પડો છે. હાઈકોર્ટે અધિકારીઓનો ખખડાવ્યાં હતા.
તેમજ નિર્દેશ કર્યો હતો કે, જીએસટી સર્ચ દરમિયાન કોઈપણ અધિકારીઓ કેશ, ચેક કે ઇ-પેમેન્ટ કોઇપણ સ્વરૂપે રીકવરી કરી શકશે નહી, અને જો આવું થયું તો અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવશે. વેપારી જીએસટી અધિકારી સામે રીકવરી અંગે ફરિયાદ કરશે તો તે અધિકારી સામે શિસ્તભંગના પગલા લેવામાં આવશે. હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી તા. 18મી ફેબ્રુઆરીએ રાખી હતી.