અમદાવાદઃ કોરોના કાળમાં સૌથી વધુ અસર પરિવહન ક્ષેત્રે થઈ હતી. હવે કોરોનાના કેસ ઘટતા પુનઃ એસટીથી લઈને રેલવે સુધીની જાહેર પરિવહન સેવા રાબેતા મુજબ બની રહી છે. જેમાં કોરોનાના ડરને લીધે વતન ગયેલા શ્રમિકો ગુજરાત પરત ફરી રહ્યા હોવાથી હાલ ટ્રેનોમાં ભારે બીડ જોલા મળી રહી છે.રેલવે દ્વારા તબક્કાવાર ટ્રેનોનું સંચાલન શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વતન ગયેલા શ્રમિકો પરત ફરી રહ્યા હોવાથી અમદાવાદ સહિત અન્ય શહેરો તરફ જતી ટ્રેનોમાં વેઈટિંગ લિસ્ટ વધી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રેલવેએ વધુ વેઇટિંગ લિસ્ટ છે તેવા રૂટ પર પહેલા અને ત્યારબાદ અન્ય ટ્રેનો શરૂ કરવાની જાહેરાત કરાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોનાના પ્રથમ રાઉન્ડમાં લોકડાઉન લદાતા શ્રમિકોને ભારે વેઠવું પડ્યુ હતું. અને તેમને પોતાના વતન જવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કોરોનાના બીજા વેવમાં ઘણાબધા શ્રમિકો વતન જતા રહ્યા હતા. હવે કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાથી પરપ્રાતિય શ્રમિકો બિહાર અને ઉત્તર પ્રદેશથી ગુજરાત પરત ફરી રહ્યા છે. એટલે ટ્રેનોમાં નો વેકન્સી જેવી સ્થિતિ જોવા મલી રહી છે. રેલવે અધિકારીએ જણાવ્યું કે, કોરોનાનું સંક્રમણ ઘટતા અને ધંધા-રોજગાર ફરીથી શરૂ થતા શ્રમિકો રોજગારી માટે શહેરોમાં પરત ફરી રહ્યાં છે. ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજ્યોમાંથી અમદાવાદ તરફ આવતી તમામ ટ્રેનો હાઉસફૂલ આવી રહી છે. કેટલીક ટ્રેનોમાં લાંબું વેઈટિંગ લિસ્ટ હોવાની સાથે નો રૂમના પાટિયા લાગી ગયા છે. આ સ્થિતિમાં રેલવેએ ફરીથી ટ્રેનોનું સંચાલન રાબેતા મુજબ થાય તે માટે પ્રયત્નો શરૂ કર્યા છે.