જ્ઞાનવાપી મસ્જિદનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આવતીકાલે સુનાવણી યોજાય તેવી શકયતા
લખનૌઃ વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં કોર્ટના આદેશના પગલે સર્વેની કામગીરી ચાલી રહી છે. દરમિયાન સમગ્ર મામલો સુપ્રીમકોર્ટમાં પહોંચ્યો હતો. આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને પીએસ નરસિમ્હાની બેંચ અંજુમન ઈનાઝાનિયા મસ્જિદની મેનેજમેન્ટ કમિટિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે. સ્થાનિક અદાલત દ્વારા જાહેર કરાયેલા સર્વેના આદેશને 1991ના પ્લેસ ઓફ વર્શીપ એક્ટ વિરુદ્ધ જણાવવામાં આવ્યું છે. દરમિયાન હિન્દુ પક્ષે દાવો કર્યો હતો કે, નંદીના મુખની સામે મસ્જિદનું વુઝુ ખાનાથી 12 ફૂટ 8 ઇંચ વ્યાસનું શિવલિંગ જોવા મળ્યું હતું.
હિંદુ પક્ષે જ્યાં સુધી રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી વજ્જુ ખાનાને સાચવવા તૈયાર છે. ત્રીસ બાય ત્રીસ ફૂટના વજ્જુખાનાની બરાબર મધ્યમાં એક આકૃતિ મળી આવી છે, જેના વિશે હિન્દુ પક્ષનો દાવો છે કે તે એક શિવલિંગ છે, જ્યારે મુસ્લિમ પક્ષનું કહેવું છે કે તે એક ફુવારાનો ભાગ છે, આ દરમિયાન વજ્જુખાનામાં પાણી ભરવામાં આવ્યું છે જેથી પૂજા કરનારાઓને કોઈ મુશ્કેલી ન પડે અને વજ્જુખાના સાથે કોઈ છેડછાડ ન કરી શકે તે માટે સીઆરપીએફના સુરક્ષા જવાનો છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળી આવવાના મુદ્દે હિન્દુ પક્ષ હવે કોર્ટમાં પહોંચ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે જ્યાંથી શિવલિંગ મળી આવ્યું છે તેને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવે. આ સાથે આ સ્થળે કોઈપણ વ્યક્તિના પ્રવેશ પ્રતિબંધ મુકવો જોઈએ.