1. Home
  2. ગુજરાતી
  3. તંદુરસ્ત ભારતઃ PMJJBY, PMSBY અને APY હેઠળ આઠ વર્ષમાં 55 કરોડથી વધુની નોંધણી
તંદુરસ્ત ભારતઃ PMJJBY, PMSBY અને APY હેઠળ આઠ વર્ષમાં 55 કરોડથી વધુની નોંધણી

તંદુરસ્ત ભારતઃ PMJJBY, PMSBY અને APY હેઠળ આઠ વર્ષમાં 55 કરોડથી વધુની નોંધણી

0
Social Share

નવી દિલ્હીઃ હવે આપણે જ્યારે ત્રણ જન સુરક્ષા યોજનાઓ એટલે કે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને અટલ પેન્શન યોજના (APY)ની 8મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ચાલો જોઇએ કે આ યોજનાઓથી કેવી રીતે લોકોને પરવડે તેવા દરે વીમો અને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, આ યોજનામાં પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ કઇ છે તેમજ તેની મુખ્ય વિશેષતાઓ પર એક નજર કરીએ.

પીએમ નરેન્દ્ર મોદીએ 9 મે 2015ના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે PMJJBY, PMSBY અને APYની શરૂઆત કરી હતી. આ ત્રણેય યોજનાઓ નાગરિકોના કલ્યાણ માટે સમર્પિત છે જે અણધારી ઘટના અને નાણાકીય અનિશ્ચિતતાઓથી માનવ જીવનને સુરક્ષિત કરવાની જરૂરિયાતને પહોંચી વળવા માટે છે. દેશનું અસંગઠિત ક્ષેત્ર આર્થિક રીતે સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે સરકારે બે વીમા યોજનાઓ – PMJJBY અને PMSBY નો પ્રારંભ કર્યો છે. સાથે જ, સરકારે વૃદ્ધાવસ્થાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અટલ પેન્શન યોજના- APY પણ શરૂ કરી છે.

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે આ ત્રણ જન સુરક્ષા યોજનાઓના સફળ અમલીકરણ માટે તમામ બેંકો અને વીમા કંપનીઓને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, “આ યોજનાઓએ વીમા અને પેન્શનને સામાન્ય માણસની પહોંચમાં લાવી દીધા છે. આ યોજનાઓ અંતર્ગત મોટી સંખ્યામાં થયેલી નોંધણીઓ પરથી તેની સફળતા સ્પષ્ટ થઇ જાય છે.” કેન્દ્રીય નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, “આ ત્રણેય યોજનાની પહોંચ વધારવા માટે, મિશન મોડમાં તેને લાગુ કરવામાં આવી રહી છે. આ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ દેશના પાત્રતા ધરાવતા દરેક વ્યક્તિ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.”

જન સુરક્ષા યોજનાની 8મી વર્ષગાંઠ પરના ડેટાને ટાંકીને, તેમણે કહ્યું કે, 26 એપ્રિલ 2023 સુધીમાં, PMJJBY, PMSBY અને APY હેઠળ અનુક્રમે 16.2 કરોડ, 34.2 કરોડ અને 5.2 કરોડ લોકો દ્વારા નોંધણી કરવામાં આવી છે.

PMJJBY યોજના અંગે, નાણાં મંત્રી સીતારમણે માહિતી આપી હતી કે, આ યોજનાએ 6.64 લાખ પરિવારોને મહત્વપૂર્ણ સહાય પૂરી પાડી છે અને આ પરિવારોને વીમાના દાવા તરીકે રૂપિયા 13,290 કરોડ મળ્યા છે. PMSBY યોજના હેઠળ, 1.15 લાખથી વધુ પરિવારોને 2,302 કરોડ રૂપિયાના દાવા પ્રાપ્ત થયા છે. તેમણે માહિતી આપી હતી કે PMJJBY અને PMSBY બંને યોજનાઓ માટે દાવાની પ્રક્રિયાનું સરળીકરણ કરવામાં આવ્યું હોવાથી દાવાની પતાવટ ઘણી ઝડપથી થઇ રહી છે.

કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી ડૉ. ભાગવત કિશનરાવ કરાડે જણાવ્યું હતું કે, “સરકારે ગ્રામીણ વિસ્તારોમાં લોકોને વીમા કવચ પ્રદાન કરવા માટે લક્ષિત અભિગમ અપનાવ્યો છે અને યોજના હેઠળ સમગ્ર દેશમાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને કવરેજ પૂરું પાડવા માટે દરેક ગ્રામ પંચાયતમાં ચલાવવામાં આવી રહ્યાં છે. આ જન સુરક્ષાની યોજનાઓને લોકપ્રિય બનાવવા માટે તેની સાથે જોડાયેલા ફિલ્ડ સ્તરના તમામ પદાધિકારીઓને અભિનંદન આપતા ડૉ. કરાડે તેમને આ યોજનાઓનો વ્યાપ વધારવા માટે તેમના પ્રયાસો હજુ પણ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

  • પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)

યોજના: PMJJBY એ એક વર્ષની જીવન વીમા યોજના છે જે અંતર્ગત કોઇપણ કારણોસર થતા મૃત્યુને આવરી લેવામાં આવે છે. તેને દર વર્ષે રિન્યૂ કરવામાં આવે છે.

પાત્રતા: 18-50 વર્ષની વય જૂથમાં આવતી કોઇપણ એવી વ્યક્તિ કે જે બેંક અથવા પોસ્ટ ઓફિસ ખાતું ધરાવતી હોય તેઓ આ યોજના હેઠળ નોંધણી કરવા માટે પાત્ર છે. જે લોકો 50 વર્ષની વય પૂર્ણ કરતા પહેલાં આ યોજનામાં જોડાય છે તેઓ નિયમિત પ્રીમિયમની ચુકવણી કરીને 55 વર્ષની ઉંમર સુધી જીવનનું જોખમ ચાલુ રાખી શકે છે.

લાભ: વાર્ષિક રૂ.436/-ના પ્રીમિયમ પર કોઇપણ કારણોસર થતા મૃત્યુના કિસ્સામાં 2 લાખ રૂપિયાનું જીવન વીમા કવચ મળે છે.

નોંધણી: ખાતાધારકો બેંકની શાખા/BC પોઇન્ટ અથવા બેંકની વેબસાઇટ પર જઇને અથવા પોસ્ટ ઓફિસમાં બચત બેંક ખાતુ ધરાવતા હોય તો પોસ્ટ ઓફિસ પર જઇને આ યોજના હેઠળ નોંધણી કરાવી શકે છે. ખાતાધારકના એક સમયના આદેશના આધારે આ યોજના હેઠળનું પ્રીમિયમ દર વર્ષે સબસ્ક્રાઇબરના બેંક ખાતામાંથી આપમેળે કાપી લેવામાં આવે છે. આ યોજના અને ફોર્મ વિશે વિગતવાર માહિતી (હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં) https://jansuraksha.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

સિદ્ધિઓ: 26.04.2023 સુધીમાં, આ યોજના હેઠળ કુલ નોંધણી 16.19 કરોડના આંકડાને ઓળંગી ગઇ છે અને 6,64,520 દાવાઓ માટે રૂપિયા 13,290.40 કરોડની ચુકવણી કરવામાં આવી છે.

  • પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)

યોજના: PMSBY એ એક વર્ષની અકસ્માત વીમા યોજના છે જે અકસ્માતને કારણે થતા મૃત્યુ અથવા વિકલાંગતા માટે કવરેજ પૂરું પાડે છે અને દર વર્ષે તેને રિન્યૂ કરી શકાય છે.

પાત્રતા: 18-70 વર્ષની વય જૂથની કોઇપણ વ્યક્તિ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું ધરાવતી હોય તો તેઓ આ યોજના હેઠળ નોંધણી કરવા માટે પાત્ર છે.

લાભ: વાર્ષિક રૂપિયા 20/-ના પ્રીમિયમની ચુકવણી કરવા પર અકસ્માતને કારણે થતા મૃત્યુ અથવા વિકલાંગતા માટે રૂપિયા 2 લાખનું આકસ્મિક મૃત્યુ અને વિકલાંગતા વીમા કવચ (આંશિક વિકલાંગતાના કિસ્સામાં રૂ. 1 લાખ) મળે છે.

નોંધણી: ખાતાધારકો બેંકની શાખા/BC પોઇન્ટ અથવા બેંકની વેબસાઇટ પર જઇને અથવા પોસ્ટ ઓફિસમાં બચત બેંક ખાતુ ધરાવતા હોય તો પોસ્ટ ઓફિસ પર જઇને આ યોજના હેઠળ નોંધણી કરાવી શકે છે. ખાતાધારકના એક સમયના આદેશના આધારે આ યોજના હેઠળનું પ્રીમિયમ દર વર્ષે સબસ્ક્રાઇબરના બેંક ખાતામાંથી આપમેળે કાપી લેવામાં આવે છે. આ યોજના અને ફોર્મ વિશે વિગતવાર માહિતી (હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં) https://jansuraksha.gov.in પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

સિદ્ધિઓ: 26.04.2023 સુધીમાં, આ યોજના હેઠળ કુલ 34.18 કરોડથી વધુ નોંધણી થઇ છે અને 1,15,951 દાવાઓ માટે રૂ.2,302.26 કરોડ ચુકવવામાં આવ્યા છે.

  • અટલ પેન્શન યોજના (APY)

પૃષ્ઠભૂમિ: અટલ પેન્શન યોજના (APY) તમામ ભારતીયો, જેમાં ખાસ કરીને ગરીબો, વંચિતો અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સાર્વભૌમિક સામાજિક સુરક્ષા વ્યવસ્થા બનાવવા માટે શરૂ કરવામાં આવી છે. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે અને તેમની ભાવિ જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકારે આ પહેલ હાથ ધરી છે. APYનું સંચાલન પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ના એકંદર વહીવટી અને સંસ્થાકીય માળખા હેઠળ કરવામાં આવે છે.

પાત્રતા: APY 18 થી 40 વર્ષની વય જૂથના એવા તમામ બેંક ખાતા ધારકો માટે ખુલ્લી છે જેઓ આવકવેરો ચુકવનારા નથી. નોંધણી કરાવનાર ઉમેદવારે પસંદ કરેલી પેન્શનની રકમના આધારે યોગદાનની રકમ અલગ અલગ હોય છે.

લાભ: આ યોજનામાં સામેલ થયા પછી ગ્રાહકે આપેલા યોગદાનના આધારે તેમની 60 વર્ષની ઉંમર પછી 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયા અથવા 5000 રૂપિયાનું ગેરેન્ટીડ લઘુતમ માસિક પેન્શન મળે છે.

યોજનાના લાભોનું વિતરણ: આ યોજના હેઠળ ગ્રાહકને માસિક પેન્શન આપવામાં આવશે અને ગ્રાહકની હયાતી ન હોય તે પછી તેના/તેણીના જીવનસાથીને સમાન પેન્શન આપવામાં આવશે અને તેમની હયાતી પણ ન હોય તે પછી 60 વર્ષની ઉંમર સુધીમાં એકઠી થયેલી પેન્શનની રકમ વારસદરને પરત કરવામાં આવશે.

ગ્રાહકના અકાળે મૃત્યુના કિસ્સામાં (60 વર્ષની વય પહેલાં મૃત્યુ થાય તો), ગ્રાહકના પતિ અથવા પત્ની, જ્યાં સુધી મૂળ સબ્સ્ક્રાઇબરની ઉંમર 60 વર્ષ ન થાય ત્યાં સુધી બાકી રહેલા નિર્ધારિત સમયગાળા માટે APY ખાતામાં યોગદાન આપવાનું ચાલુ રાખી શકે છે.

કેન્દ્ર સરકાર દ્વારા યોગદાન: સરકાર દ્વારા લઘુતમ પેન્શનની બાંયધરી આપવામાં આવશે, એટલે કે, જો યોગદાનના આધારે સંચિત રકમ, રોકાણ પર અનુમાનિત વળતર કરતાં ઓછી હોય અને લઘુતમ ગેરેન્ટીડ પેન્શન પ્રદાન કરવા માટે અપૂરતી હોય, તો કેન્દ્ર સરકાર આ અપૂરતી રકમને પૂરી કરવા માટે ભંડોળ આપશે. વૈકલ્પિક રીતે, જો રોકાણ પર વળતરની રકમ વધારે હોય તો, સબ્સ્ક્રાઇબરને વધેલા પેન્શનનો લાભ મળશે.

ચુકવણીની ફ્રિક્વન્સી: સબ્સ્ક્રાઇબર માસિક / ત્રિમાસિક / અર્ધવાર્ષિક ધોરણે APYમાં યોગદાન આપી શકે છે.

યોજનામાંથી બહાર નીકળવું: સબ્સ્ક્રાઇબર સરકારના સહ-યોગદાન અને તેના પર રિફંડ/વ્યાજની કપાતને આધીન અમુક શરતોને આધીન APYમાંથી સ્વૈચ્છિક રીતે બહાર નીકળી શકે છે.

સિદ્ધિઓ: 27.04.2022 સુધીમાં 5 કરોડથી વધુ લોકોએ આ યોજનામાં નોંધણી કરાવી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code