સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન દ્વારકામાં ગણતરીના કલાકોમાં જ નવ ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાયાં છે. હવામાન વિભાગે સુરતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આગામી કેટલાક દિવસ અમદાવાદમાં પણ વરસાદી માહોલ યથાવત રહે તેવી સંભાવના છે. તો હવામાન વિભાગે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. અરવલ્લી, જૂનાગઢ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદ ખાબકવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ જામનગર, દ્વારકા, ગીરસોમનાથમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. રાજ્યમાં 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ વરસ્યો છે. દ્રારકામાં 9.1 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સીઝનનો 65 ટકા ઉપર વરસાદ નોંધાય ચૂક્યો છે.
હવામાન નિષ્ણતોના જણાવ્યા અનુસાર આગામી 24 જુલાઈએ બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે આગામી 27થી 29 જુલાઈએ ગુજરાતમાં ફરી વરસાદ થઈ શકે છે. મુશળધાર વરસાદને પગલે નર્મદા નદીમાં પૂર આવવાની શક્યતા છે. તેમજ સરદાર સરોવર ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની જળસપાટી પણ વધી શકે છે.