કારચાલક પ્રથમવાર પકડાશે તો 2000નો દંડ,
બીજીવાર પકડાશે તો 4000નો દંડ,
ત્રીજીવાર પકડાશે તો ડ્રાઈવિંગ લાયસન્સ રદ
અમદાવાદઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. વાહનચાલકો પુરફાટ ગતિએ વાહનો ચલાવતા હોવાની પણ ફરિયાદો ઊઠી છે, ત્યારે શહેર પોલીસ કમિશનરે શહેરમાં વાહનોની ગતિમર્યાદા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે વાહનચાલકો ગતિ મર્યાદાનું ઉલ્લંઘન કરશે તેવા વાહનચાલકો પાસેથી આકરો દંડ વસુલવામાં આવશે. જેમાં સરખેજ-ગાંધીનગર રોડ, સિંધુ ભવન રોડ અને સરદાર પટેલ રિંગ રોડ પર વાહનો સ્પીડ 70 કિમી પ્રતિ કલાકથી વધુ ઝડપ હશે તો વાહનચાલકો પાસેથી આંકરો દંડ વસુલાશે. આ વિસ્તારમાં ટ્રાફિક પોલીસને સ્પીડગન સાથે ફરજ સોંપવામાં આવશે. અને ટ્રાફિક પોલીસ સતત ફુલ સ્પીડમાં આવતા વાહનચાલકો પર સતત વોચ રાખશે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે વાહનોની ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે. શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વાહનોની ગતિ પ્રતિ કલાલ 70 કરતા વધારે જણાશે તો પહેલા તો બે વાર વાહનચાલકો પાસેથી સ્થળ પર દંડ વસુલવામાં આવશે અને ત્રીજી વાર વાહનચાલક ગતિ મર્યાદાનું ઉલ્લંઘન કરશે તો તેનું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ્દ કરી દેવામાં આવશે. જ્યારે ટુ વ્હીલર યાને દ્વીચક્રી વાહનો માટે પણ ગતિ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં
100cc ડિસ્પ્લેસમેન્ટથી ઓછા દ્વિચક્રી વાહનો માટે ઝડપ મર્યાદા 60 કિમી પ્રતિ કલાક હશે, જ્યારે બાકીના વાહનોની 50 કિમી પ્રતિ કલાક હશે. આ નિયમનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને પકડવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે. શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા સરખેજ ગાંધીનગર રોડ, સિંધુ ભવન રોડ, સરદાર પટેલ રિંગ રોડ સહિતના અન્ય વિસ્તારોમાં સ્પીડ ગન સાથેના આઠ ઈન્ટરસેપ્ટર્સ તૈનાત કરવામાં આવ્યા છે.
જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ(ટ્રાફિક) મયંકસિંહ ચાવડાએ જણાવ્યુ હતું કે, પ્રથમ વાર જે વાહનચાલક નિયમનો ભંગ કરતા પકડાશે તો તેને 2000 રુપિયા દંડ ફટકારવામાં આવશે. બીજી વાર જો નિયમ તોડવામાં આવશે તો 4000 રુપિયા દંડ ફટકારવામાં આવશે અને ત્રીજી વાર તે વાહનચાલકનું લાઈસન્સ રદ્દ કરી દેવામાં આવશે. તેમણે જણાવ્યું કે, અમારી પાસે આઠ ઈન્ટરસેપ્ટર્સ છે અને હાઈવે પેટ્રોલ વ્હીકલ્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે, જે વાહનની ઝડપ પર નજર રાખશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જાહેર રસ્તાઓ પર સ્પીડ લિમિટના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, અને વાહનચાલકોએ સુનિશ્ચિત કરવાનું રહેશે કે તેઓ ગતિ મર્યાદાનું પાલન કરે. નોંધનીય છે કે અધિકારીઓએ ખુલાસો કર્યો છે કે આ ગતિ મર્યાદા એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ તેમજ અન્ય મેડિકલ ઈમર્જન્સીના વાહનો અને પોલીસના વાહનોને લાગુ પડશે નહીં.