આંધ્રપ્રદેશમાં મંદિરો ઉપર હુમલાના બનાવોથી સરકાર ચિંતિત, એસઆઈટીની કરી રચના
મુંબઈઃ આંધ્રપ્રદેશમાં મંદિરો ઉપર હુમલા અને મૂર્તિઓની તોડફાડના બનાવો વધતા સરકાર હરકતમાં આવી છે. તેમજ આવા બનાવોની તપાસ માટે ખાસ તપાસ ટીમ (સિટ)ની રચના કરી તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આંધ્રપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી મંદિરો ઉપર હુમલો અને મૂર્તિઓની તોડફાડના બનાવોમાં વધારો થયો છે. તેમજ અત્યાર સુધીમાં આવા 25 બનાવો સામે આવ્યાં છે. જેમાં 20થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના પશ્ચિમ ગોદાવરી, કૃષ્ણ, વિઝિયાનાગામ, પૂર્વ ગોદાવરી, પ્રકસમ અને અન્ય જિલ્લાઓમાં લગભગ 25 મંદિરો પર હુમલો થયાના કેસ નોંધાયા છે.
સમગ્ર ઘટનાને સરકારે ગંભીરતાથી લઈને તપાસના આદેશ કર્યાં છે. તેમજ ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરોના એડિશનલ ડાયરેક્ટર જી.વી.જી. અશોક કુમાર અને કૃષ્ણા જિલ્લાના એસપી એમ. રવિન્દ્રનાથ બાબુની અધ્યક્ષતામાં 16 સભ્યોની ટીમમાં મંદિરોમાં તોડફોડ અને મૂર્તિઓ ખંડિત કરવાના કેસોની તપાસ કરશે. ખાસ તપાસ ટીમ આરોપીની મોડસ ઓપરેન્ડી, આરોપીના ગુનાહિત ઇતિહાસ, સ્થાનિક લોકો સાથેની કડી, ગુનાઓની રીત વગેરેની વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને અન્ય વિગતો મેળવવા તપાસ કરશે.