1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત યુનિમાં GUSEC દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે ઈનોવેશન અને સ્ટાર્ટઅપ કેન્દ્ર શરૂ કરાશે
ગુજરાત યુનિમાં  GUSEC દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે ઈનોવેશન અને સ્ટાર્ટઅપ કેન્દ્ર શરૂ કરાશે

ગુજરાત યુનિમાં GUSEC દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે ઈનોવેશન અને સ્ટાર્ટઅપ કેન્દ્ર શરૂ કરાશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં GUSEC  સ્ટાર્ટઅપ અને ઈનોવેશન માટેનું  એક સેન્ટર છે. ત્યારે હવે GUSEC દ્વારા સ્કૂલમાં ભણતાં બાળકોના સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે યુનિમાં વધુ એક  સેન્ટર શરુ કરવામાં આવશે. આ સેન્ટરમાં બાળકો રૂબરૂ મુલાકાત લઈ શકશે અને પોતાના વિચારો રજુ કરી શકશે.

ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન માટે GUSEC સેન્ટર આવેલું છે. આ સેન્ટરમાં ગુજરાત યુનિવર્સિટીમાં ભણતા, પૂર્વ વિદ્યાર્થી અથવા બહારના પણ કોઈ વ્યક્તિના સ્ટાર્ટઅપ કે ઇનોવેશનને વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. અત્યારે જમાનો ડિજિટલ થયો છે. નાનાં બાળકોના વિચારો પણ હવે અલગ હોય છે ત્યારે નાનાં બાળકોના વિચારને વેગ મળે એ માટે ગુજરાત યુનિવર્સિટીના GUSEC દ્વારા એક સેન્ટર ઊભું કરવામાં આવશે. GUSEC અને યુનિસેફ દ્વારા સંયુક્ત રીતે સેન્ટર ચલાવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જ વિક્રમ સારાભાઇ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર શરૂ કરવામાં આવશે. આ સેન્ટર સ્કૂલમાં ભણતાં બાળકો માટે હશે. સ્કૂલમાં ભણતાં બાળકો પોતાના વિચારો અહીં અરજી સ્વરૂપે રજૂ કરી શકશે. ત્યાર બાદ અરજીને GUSEC દ્વારા અભ્યાસ કરવામાં આવશે. બાળકોની યોગ્ય અરજીની પસંદગી કરીને તેના વિચારો વિસ્તૃતમાં જાણવામાં આવશે અને બાદમાં બાળકને જરૂરી તમામ વસ્તુઓ પૂરી કરીને સ્ટાર્ટઅપમાં મદદ કરવામાં આવશે. બાળકોને આ અંગે વધુ જાણકારી મળે એ માટે GUSEC દ્વારા જ અમદાવાદથી શરુ કરીને રાજ્યની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ઇનોવેશન સેન્ટરની મુલાકાત કરાવવામાં આવશે. અહીં બાળકોને નાની તમામ વસ્તુઓની જાણકારી આપવામાં આવશે. બાળકોના પ્રશ્નોના જવાબ મળી શકે એ માટે પણ કોઈ નિષ્ણાત વ્યક્તિ હાજર રહેશે. બાળકોને સ્કૂલે લાવવાથી લઈ સ્કૂલથી પરત મૂકવા સુધીનો ખર્ચ પણ GUSEC દ્વારા ઉઠાવવામાં આવશે.

આ ઉપરાંત સ્કૂલમાં ભણતાં તમામ બાળકો માટે ઓનલાઈન ઇનોવેશનને લઈને કોર્સ પણ વિનામૂલ્યે ભણાવવામાં આવશે. આ કોર્સ સંપૂર્ણ ઓનલાઈન જ રહેશે. આ કોર્સમાં 15 મિનિટ જ ભણાવવામાં આવશે, ત્યાર બાદ 5 મિનિટની MCQ ટેસ્ટ લેવામાં આવશે. જેથી બાળકો કેટલું શીખી શક્યા એ જાણી શકાશે. પરીક્ષા પરથી હોશિયાર બાળકોની ઓળખ થઇ શકશે અને બાળકોને રૂબરૂ સેન્ટર પર બોલાવીને વધુ શીખવી શકાશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે,  ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં વિક્રમ સારાભાઇ ઇનોવેશન સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવશે.  ત્યાર બાદ આ સેન્ટર કોરોનાને કારણે 2-3 મહિના ડિજિટલ માધ્યમથી ચલાવવામાં આવશે.  કોરોનાનો કાળ પૂર્ણ થયા બાદ સેન્ટર  ફિઝિકલી શરૂ કરાશે. રોજ 100થી વધુ બાળકો મુલાકાત લઇ શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.  બાળકોના સારા ઇનોવેશન હશે તો તેની પર ફંડિંગ. મટીરિયલ,પેટન્ટ સહિતની તમામ મદદ કરવામાં આવશે. બાળકોને ઇનોવેશન અંગે ભણાવવામાં આવશે, જેથી તેમના વિચારોનો પણ વિકાસ થશે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code