રાંચીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ: રાહુલ ગાંધીએ ઝારખંડ સરકારની કાર્યવાહીને અયોગ્ય ગણાવી
- શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો વિદ્યાર્થીઓનો અધિકાર છે: રાહુલ ગાંધી
- દિલ્હીના વિવાદ વચ્ચે ઝારખંડની ઘટના પર પણ કોંગ્રેસ નેતાએ આપી પ્રતિક્રિયા
નવી દિલ્હી, 11 ઓગસ્ટ 2026: ઝારખંડની રાજધાની રાંચીમાં પ્રતિયોગી પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જને લઈને રાજકારણ ગરમાયું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ વિરુદ્ધ બળનો ઉપયોગ કરવો તદ્દન ખોટું છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ”ઝારખંડમાં વિરોધ-પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ ઉપર બળનો ઉપયોગ યોગ્ય નથી. વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો બંધારણીય અધિકાર છે અને કોઈપણ સમસ્યાનો ઉકેલ માત્ર વાતચીતથી જ નીકળી શકે છે. ઝારખંડ સરકારે આ વિદ્યાર્થીઓની વાત સાંભળવી જોઈએ અને તેમની દરેક સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ.”
અત્રે ઉલ્લેખનીય છે કે ઝારખંડમાં હાલ કોંગ્રેસ, જેએમએમ (JMM), લેફ્ટ અને આરજેડી (RJD) ગઠબંધનની સરકાર છે, જેના કારણે આ નિવેદન ખૂબ જ ચર્ચાસ્પદ બન્યું છે. તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર પર થયેલા પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને પેલેટ ગનના ઉપયોગને લઈને ભાજપ સરકાર પર પ્રહારો થઈ રહ્યા હતા, અને ભાજપ સવાલ ઉઠાવી રહી હતી કે આ મુદ્દે કોંગ્રેસ કેમ ચૂપ છે? આ દરમિયાન જ રાહુલ ગાંધીનું આ નિવેદન સામે આવ્યું છે.

-
ગૃહમંત્રી અમિત શાહ પર કર્યાં આકરા પ્રહાર
રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ”સવાલ એ છે કે, દિલ્હીમાં યુવાનો પર બળપ્રયોગ અને ગોળીબારની પરવાનગી કોણે આપી? ગૃહમંત્રીએ સ્પષ્ટ કરવું જોઈએ કે શું આદેશ તેમણે આપ્યો હતો કે નહીં? જો તેમને આ બાબતની જાણ ન હતી, તો તેઓ અધ્યક્ષ છે અને તેમને આ પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી.” રાહુલ ગાંધીએ વધુમાં આરોપ લગાવ્યો કે, ”ગૃહમંત્રીએ પહેલા એ સ્પષ્ટ કરવું જોઈએ કે શું લાઠીચાર્જનો આદેશ તેમણે જ આપ્યો હતો કે નહીં, ત્યારબાદ જ સંસદમાં કોઈ ચર્ચા થઈ શકે. છેલ્લા 15 દિવસથી ન તો ગૃહમંત્રી કે ન તો વડાપ્રધાનમાં સંસદમાં આવીને જવાબ આપવાની હિંમત હતી.”
-
રાંચી વિધાનસભા બહાર દેખાવો અને પોલીસ કાર્યવાહી
અત્રે ઉલ્લેખનીય છે કે રાંચીમાં પ્રતિયોગી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અને કૌભાંડોના વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરીને વિધાનસભા તરફ કૂચ કરી રહ્યા હતા. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ સુરક્ષા માટે લગાડેલા બેરિકેડ્સ તોડી નાખ્યા હતા. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે વોટર કેનન, ટીયર ગેસ અને લાઠીચાર્જનો સહારો લીધો હતો, જેના કારણે વિસ્તારમાં ભારે તણાવ સર્જાયો હતો. આ મુદ્દે ઉત્તર ભારતનું રાજકારણ ગરમાયું છે.


