Homeગુજરાતીગુજરાત2.29 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

2.29 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

 

  • ખાનગી શાળાઓના વળતા પાણી,
  • માત્ર બનાસકાંઠામાં 10 હજાર વિદ્યાર્થીઓએ ખાનગી સ્કુલ છોડી,
  • મોંઘવારીમાં ખાનગી સ્કુલની ફી વાલીઓને પરવડતી નથી,

ગાંધીનગરઃ ગુજરાતમાં વાલીઓમાં પોતાના બાળકોને ખાનગી શાળાઓમાં ભણાવવાનો ક્રેઝ ઘટતો જાય છે. ખાનગી શાળાઓની અસહ્ય ફી વાલીઓને મોંઘવારીને લીધે હવે પોસાતી નથી. બીજી બાજુ સરકારી શાળાઓમાં શિક્ષણના સ્તરમાં ઘણો બધો સુધારો થયો છે. તેથી નવા શૈક્ષણિક વર્ષમાં બાળવાટિકાથી લઈને ધોરણ-12 સુધીમાં 2.29 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.

રાજ્યમાં વર્ષ 2024-25માં બાલવાટિકાથી ધોરણ-12 સુધી કુલ 2,29,747 વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ કુલ 37,786  વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે;  જ્યારે સુરત મહાનગરપાલિકાના કુલ 22,892  વિદ્યાર્થીઓ,  વડોદરા મહાનગરપાલિકામાં કુલ 10,602  વિદ્યાર્થીઓ અને રાજકોટ મહાનગરપાલિકામાં કુલ 6,204  વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી  સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ  10,228  વિદ્યાર્થીઓ,  મહેસાણામાં 8,267  વિદ્યાર્થીઓ, ભાવનગરમાં કુલ 8,242  વિદ્યાર્થીઓ, જૂનાગઢમાં 7,892  વિદ્યાર્થીઓ, આણંદમાં 7,269  વિદ્યાર્થીઓ, અમદાવાદ ગ્રામીણમાં કુલ 6,910  વિદ્યાર્થીઓ  રાજકોટમાં કુલ 6,881  વિદ્યાર્થીઓ, ગાંધીનગરમાં 6,811  વિદ્યાર્થીઓ, કચ્છમાં 5,952  વિદ્યાર્થીઓ,  ખેડામાં 5,910  વિદ્યાર્થીઓ, અને સુરતમાં 5,777 વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. આમ રાજ્યમાં તમામ જિલ્લાઓ, નગરપાલિકાઓ અને ચાર મહાનગરપાલિકામાંથી કુલ 2,29,747  વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓની સાપેક્ષે સરકારી શાળામાં પ્રવેશ મેળવવાને પ્રાધાન્ય આપ્યું છે.

રાજ્યની સરકારી શાળાઓ ગુણવત્તાયુકત શિક્ષણ તો  આપી જ  રહી છે સાથોસાથ પીવાના પાણી, કોમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, રમત-ગમત મેદાન, પોષણયુક્ત મધ્યાહન ભોજન, ગણવેશ, સ્માર્ટ ક્લાસ, ઓરડા, અને સ્વચ્છતા જેવી શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ આજે સરકારી શાળાઓમાં મળી રહી છે. રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓના હિતમાં દર વર્ષે બજેટમાં ઉત્તરોતર વધારો કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ માટે ગત વર્ષ 2023-24  બજેટની જોગવાઈ કરતાં રૂ.11,463  કરોડના વધારા સાથે કુલ રૂ. 55,114 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.

શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં ખૂબ અસરકારક અને પરિણામલક્ષી  કામગીરી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ આજના સમયમાં ટેક્નોલોજીયુક્ત શિક્ષણ મેળવી શકે તે માટે ગુજરાતમાં એક લાખથી વધુ સ્માર્ટ ક્લાસ કાર્યરત છે અને પાંચ હજારથી વધુ સ્માર્ટ ક્લાસનું કાર્ય પ્રગતિ હેઠળ છે. રાજ્યના બાળકોને કોમ્પ્યુટરયુકત શિક્ષણ મળી શકે તે માટે  16 હજાર શાળાઓમાં 2 લાખ 40 હજાર જેટલા કોમ્પ્યુટર આપવામાં આવ્યા છે. જ્યારે વધુ ચાર હજાર શાળાઓમાં 70 હજાર જેટલા કોમ્પ્યુટર આપવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular