- દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ બાદ કેજરીવાલ સરકારનો નિર્ણય
- દિલ્હીમાં આગામી 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યૂ અમલી બનાવાયું
- 30 એપ્રિલ સુધી રાતના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ
નવી દિલ્હી: દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા કેજરીવાલ સરકારે 30 એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યૂ લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. કર્ફ્યૂ અંતર્ગત હવેથી રાતના 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી લોકોના ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ આદેશ તાત્કાલિક અસરથી લાગૂ કરવામાં આવ્યો છે અને તે 30 એપ્રિલ સુધી અમલી રહેશે.
દિલ્હી સરકારે નાઇટ કર્ફ્યૂ માટે જે ગાઇડલાઇન જાહેર કરી છે તે અંતર્ગત પરિવહન પર કોઇ પણ પ્રકારનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. સાર્વજનિક વાહનો જેવા કે બસ, ઑટો, ટેક્સી વગેરેને આ સમય દરમિયાન છૂટ આપવામાં આવી હોય તેમને જ લાવવા-લઇ જવાની મંજૂરી અપાઇ છે.
આ સાથે જ કરિયાણા, ફળ, શાકભાજી, દૂધ, દવાના વેપારીઓએ ઈ-પાસ બનાવડાવવો પડશે જેથી તેઓ પોતાની સેવા ચાલુ રાખી શકે. જો કોઈ વ્યક્તિ વેક્સિન લગાવડાવવા જવા માંગતી હોય તો તેને છૂટ આપવામાં આવશે પરંતુ ઈ-પાસ લેવો પડશે.
(સંકેત)