- તરબૂચ શરીર માટે ખૂબ જ ગુણકારી ફળ
- તરબૂચમાં 92-93 ટકા પાણી હોય છે
- તરબૂચના બીજના પણ છે ઘણા ફાયદા
હાલ ઉનાળાની સીઝન ચાલી રહી છે.આ દરમિયાન કેરી,લીચી અને તરબૂચ જેવા શ્રેષ્ઠ ફળ ખાવામાં આવે છે. તરબૂચ તમને ગરમીમાં લૂ લાગવાથી અને બીમાર થવાથી પણ બચાવે છે. કારણ કે તરબૂચમાં 92-93 ટકા પાણી છે. આ ઉપરાંત તેમાં ઘણા બધા પોષક તત્વો પણ જોવા મળે છે,જેમાં વિટામિન સી,વિટામિન એ અને પોટેશિયમ સામેલ છે. તેથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તરબૂચ ખૂબ ફાયદાકારક છે.
પરંતુ તમે તરબૂચના બીજ સાથે શું કરો છો? જો કોઈ તમને આ સવાલ પૂછશે,તો તમારો જવાબ એ જ હશે કે, તરબૂચના બીજ ફેંકી દેવામાં આવે છે. આજે અમે તમને તરબૂચના કાળા રંગના નાના બીજના ફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, એ જાણ્યા પછી તમે ક્યારેય પણ તરબૂચના બીજને ડસ્ટબિનમાં નહીં ફેંકી શકો. તરબૂચનાં બીજમાં કેલરી હોતી નથી અને તેમાં ઝીંક, આયર્ન, ફોલેટ, પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે. આ માટે તરબૂચના બીજને સૂકવી લો અને પછી તેને થોડું ફ્રાય કરો. અને તેને નાસ્તાની જેમ ખાઈ શકાય.
તરબૂચના બીજના અનેક ફાયદા
હાડકાને મજબુત બનાવે છે
તરબૂચનાં બીજમાં કોપર,મેંગેનીઝ અને પોટેશિયમ હોય છે. જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદગાર છે..તરબૂચના બીજને સૂકાવીને ખાવાથી ઓસ્ટીયોપોરોસિસનું જોખમ ઓછું થાય છે.
બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે
ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવા માટે તરબૂચનાં બીજ પણ ફાયદાકારક માનવામાં આવે છે. આનું કારણ એ છે કે, કાળા રંગના આ નાના બીજ બ્લડ સુગરનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે,તેથી તે ડાયાબિટીઝના દર્દીઓ માટે નાસ્તાનો સારો વિકલ્પ બની શકે છે.
હૃદયને સ્વસ્થ રાખે છે
તરબૂચના બીજમાં મેગ્નેશિયમ જોવા મળે છે, જે હાયપરટેન્શનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. હાઈ બ્લડ પ્રેશર સીધો હૃદય રોગ સાથે સંબંધિત છે. આ બીજનું નિયમિત સેવન કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. અને હૃદય સ્વસ્થ બને છે.
-દેવાંશી