1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચાર માટે ફરી ગુજરાત આવશે, વડોદરા અને થરાદમાં જાહેર સભાને સંબોધશે
વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચાર માટે ફરી ગુજરાત આવશે, વડોદરા અને થરાદમાં જાહેર સભાને સંબોધશે

વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચાર માટે ફરી ગુજરાત આવશે, વડોદરા અને થરાદમાં જાહેર સભાને સંબોધશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ વડાપ્રધાન મોદી  ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 30 ઓક્ટોબરથી પહેલી નવેમ્બર સુધી મોદી ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી વડોદરા, થરાદ, કેવડિયા અને માનગઢમાં યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને જંગી જનસભાને સંબોધશે. એ ઉપરાંત  મોદી  ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમને પણ સંબોધન કરશે. તેમના પ્રવાસ બાદ વિધાનસભાની ચૂંટણી જાહેર થાય એવી શક્યતા છે.

ગુજરાત વિઘાનસભાની ચૂંટણીને હવે એકાદ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ત્યારે ભાજપના ચૂંટણી પ્રચારની બાગડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી લીધી છે. વડાપ્રધાન મોદી તા. 30મી ઓક્ટોબરે દિલ્હીથી વડોદરા એરપોર્ટ પર આવશે,  જ્યાં લેપ્રસી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે. તેમજ  આઈએએફ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાનનું ખાતમુહૂર્ત કરશે, જ્યાંથી હેલિકોપ્ટર દ્વારા તેઓ કેવડિયા જશે અને સર્કિટ હાઉસ કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે. અને તા.31મી ઓક્ટોબરે સવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જશે, જ્યાં પુષ્પાંજલિ કાર્યક્રમમાં ભાગ લેશે. તેઓ રાષ્ટ્રીય એક્તા દિવસ પરેડ સાથે જોડાશે. ત્યાં બાય રોડ પરેડ ગ્રાઉન્ડ સુધી પહોંચશે. ત્યારબાદ  એક્તાનગર હેલિપેડ પર  આવશે ત્યાંથી  હેલિકોપ્ટર દ્વારા ફરી વડોદરા એરપોર્ટ પહોંચશે. વડોદરાથી તેઓ અમદાવાદ એરપોર્ટ આવવા રવાના થશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા થરાદ હેલિપેડ પર પહોંચશે. થરાદમાં જાહેરસભાને સંબોધશે.

બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિકાસકાર્યોનાં ખાતમહૂર્તના કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યાંથી ફરી અમદાવાદ એરપોર્ટ આવશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. પહેલી નવેમ્બરે રાજભવનથી સચિવાલય હેલિપેડ ગાંધીનગર ખાતે સવારના સમયે પહોંચશે, જ્યાંથી તેઓ હેલિકોપ્ટરમાં રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આવેલી માનગઢ હિલ ખાતે જવા રવાના થશે. ત્યાંથી તેઓ જાંબુઘોડા આવવા રવાના થશે, જ્યાં તેઓ ખાતમુહૂર્ત ઉપરાંત કેટલાંક વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. જાંબુઘોડા હેલિપેડ પરથી હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગર પહોંચશે અને ત્યાંથી રોડ માર્ગે રાજભવન પહોંચી ત્યાં થોડો સમય વિતાવ્યા પછી મહાત્મા મંદિર પર પહોંચશે. અહીં તેઓ ભાજપના 182 વિધાનસભા બેઠકના કાર્યકરો સાથે દિવાળી મિલનના વર્ચ્યુઅલ સંબોધન કાર્યક્રમમાં હાજરી આપશે અને કાર્યકરો સાથે કેટલીક ચૂંટણીને લગતી કામગીરી અંગે વાત કરશે. ત્યાંથી તેઓ ફરી પાછા અમદાવાદ એરપોર્ટ પર જવા રવાના થશે અને રાત્રિના સમયે તેઓ અમદાવાદ એરપોર્ટથી પરત દિલ્હી જશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code