મનોચિકિત્સકો કોરોનાના દર્દીઓને ફોન કરીને માનસિક મનોબળ મજબુત કરી રહ્યા છે
અમદાવાદઃ શહેરની અસારવા સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ માનસિક રીતે મજબૂત રહે તે માટે મેન્ટલ કાઉન્સેલરની નિમણૂક કરવામાં આવે છે. આ કાઉન્સેલર ફોન દ્વારા દર્દીઓ સાથે વાતચીત કરે છે તેમજ દર્દીઓને વિવિધ પુસ્તકો આપી તેમની મનોસ્થિતિનો તાગ મેળવવામાં આવે છે. આમ દર્દીઓનું મનોબળ મજબુત બને અને હતાશ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
કોરોનાના સારવાર લેતાં દર્દીઓ પરિવાર અને સ્વજનોથી દૂર સતત ચિંતાભર્યા વાતાવરણમાં અને અન્ય કોવિડ દર્દીઓ સામે રહેતા હોવાથી તેમના મનમાં નબળા અને નકારાત્મક વિચારો પણ વધી રહ્યાં છે. જેથી સિવિલમાં દર્દીઓના કાઉન્સેલિંગ માટે કાઉન્સેલરની નિમણૂક કરવામાં આવી છે. જે ફોન દ્વારા દર્દી સાથે વાતચીત કરી તેમની મનોસ્થિતિનો તાગ મેળવે છે, તેમજ દર્દીઓને મનગમતા વિષયના પુસ્તકો આપી તેમનું ધ્યાન પુસ્તકો તરફ વળે તેવો પ્રયત્ન હાથ ધરાયો છે. ઘણા દર્દીઓમાં કોરોનાનો ડર દુર કરી સખાયો છે. દર્દી માનસિકરીતે મજબુત થાય તો તેને વહેલા સાજો કરી શકાય છે તેવું મનોચિકિત્સકોનું માનવુ છે.