બંગાળમાં પ્રથમ તબક્કામાં થયેલા જંગી મતદાન બદલ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે ખુશી વ્યક્ત કરી
નવી દિલ્હી, 24 એપ્રિલ 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી ડ્યુટી પર તૈનાત કર્મચારીઓના નામ મતદાર યાદીમાંથી કથિત રીતે હટાવવા અંગેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે અરજદારોએ હવે એપેલેટ ટ્રિબ્યુનલ અથવા કલકત્તા હાઈકોર્ટનો સંપર્ક કરવો જોઈએ. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાનમાં થયેલા 92 ટકા જેટલા જંગી મતદાન બદલ સંતોષ અને ખુશી વ્યક્ત કરી હતી.
મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, જે લોકો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની જવાબદારી નિભાવી રહ્યા છે, તેઓ પોતે જ મતાધિકારથી વંચિત રહી ગયા છે. વકીલે દલીલ કરી હતી કે ચૂંટણી ડ્યુટી માટેના ઓર્ડરમાં પહેલા EPIC (Voter ID Card) નંબરનો ઉલ્લેખ હતો, જેને પાછળથી હટાવી દેવામાં આવ્યો. આ કારણે ડ્યુટી પરના કર્મચારીઓ મતદાન કરી શકતા નથી, જે લોકશાહીમાં ગેરવ્યાજબી છે.
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાનમાં થયેલા 92 ટકા જેટલા જંગી મતદાન બદલ સંતોષ અને ખુશી વ્યક્ત કરી હતી. જોકે, મતાધિકારના મુદ્દે કોર્ટે કહ્યું કે, “અમે દરરોજ અમારા આદેશો બદલી શકતા નથી, કૃપા કરીને આ સમસ્યાને એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ ઉઠાવો.”
સુપ્રીમ કોર્ટે આ મામલે કેટલીક મહત્વની રાહતો આપી છે કે, જે લોકોના નામ મતદાર યાદીમાંથી બહાર થઈ ગયા છે, તેઓ વહીવટી અથવા ન્યાયિક દખલગીરી માટે કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનો સંપર્ક કરી શકે છે. એપેલેટ ટ્રિબ્યુનલને નિર્દેશ આપવામાં આવ્યો છે કે જેમની અપીલો પેન્ડિંગ છે અને જેઓ તાત્કાલિક સુનાવણીની જરૂરિયાત સાબિત કરી શકે છે, તેમની સુનાવણી પ્રાથમિકતાના ધોરણે (આઉટ-ઓફ-ટર્ન) કરવામાં આવે.
બેંચમાં સામેલ જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ નોંધ્યું હતું કે, ભલે આ વર્ષે તેઓ વોટ આપી શકે કે નહીં, પરંતુ મતદાર યાદીમાં તેમનું નામ જાળવી રાખવાનો અધિકાર વધુ મહત્વનો છે અને કોર્ટ દ્વારા તેની તપાસ કરવામાં આવશે. કોર્ટે વધુમાં ઉમેર્યું કે 13 એપ્રિલના આદેશમાં મોટાભાગના મુદ્દાઓ પર પહેલેથી જ સ્પષ્ટતા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ભારતમાં જોખમી ઔદ્યોગિક કચરાના ઉત્પાદનની સામે નોંધાયેલા સ્થળો ખુબ જ ઓછા


