સર્વે માટે આવેલી કેન્દ્રિય ટીમે ખેડુતો કે માછીમારો સાથે વાતચિત ન કરતા નારાજગી
અમદાવાદઃ રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ કૃષિક્ષેત્રે ખૂબ નુકસાન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યા બાદ કેન્દ્રિય ટીમ નુકશાનીનો સર્વે કરવા માટે ગુજરાતની મુલાકોતે છે, ત્યારે કેન્દ્રીય ટીમની સર્વેની કામગીરીને લઈ સવાલો ઊઠ્યા છે. આજે અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલી ટીમના સભ્યોએ કોઈ માછીમાર આગેવાન કે ખેડૂતો સાથે નુકસાની અંગે ચર્ચા કર્યા વગર જ રવાના થઈ ગઈ હતી. કેન્દ્રીય ટીમના સભ્યોએ ફક્ત કલેકટર અને સ્થાનિક અધિકારીઓ પાસેથી જ જરુરી માહિતી એકત્ર કરી હતી.
કેન્દ્રીય ટીમના સભ્યોએ આજે અમરેલી જિલ્લાના તાઉ-તે પ્રભાવિત રાજુલાના કોવાયા, જાફરાબંદર, ધારાબંદર વિસ્તારની મુલાકાત કરી હતી. વાવાઝોડાનાને કારણે દરિયાકાંઠે ભારે વ્યાપક નુકસાન ગયું છે અને વિનાશ સર્જાયો છે. અહીં ગ્રામ્ય વિસ્તાર અને માછીમારોને વ્યાપક નુકસાન જતાં રાજ્ય સરકારના સચિવો બાદ આજે કેન્દ્રીય ટીમોનો મોટો કાફલો અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વે કર્યો હતો. અમરેલી જિલ્લાના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારમાં સર્વેની કામગીરી માટે આવેલી કેન્દ્રીય ટીમ સાથે ગુજરાત સરકારના સચિવો અને ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. અમરેલી કલેકટર દ્વારા જિલ્લામાં થયેલી નુકસાનીની વિગતોથી ટીમના સભ્યોને વાકેફ કરાયા હતા. રાજુલા તાલુકાના ખેડુતોએ જણાવ્યુ હતું કે, માત્ર જાફરાબાદમાં અધિકારીઓ આંટા મારે છે, અહીં ગામડામાં ખેડૂતની શું હાલત છે? એ કોઈ જોતું નથી.