ઉત્તરપ્રદેશઃ કાનપુરમાં બેંકની બેદરકારી સામે આવી, 42 લાખની રકડ કરમ પલડી
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચોમાસાની સિઝનમાં સારો એવો વરસાદ વરસ્યો છે દરમિયાન કાનપુરમાં આવેલી એક બેંકમાં કર્મચારીઓની બેદરકારીથી એક-બે નહીં પરંતુ રૂ. 42 લાખની નોટો પલડી ગઈ હતી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને આરબીઆઈ અને વિજિલેન્સ ટીમે તપાસ કરી છે. એટલું જ નહીં જવાબદાર મનાતા બેંકના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
સામાન્ય લોકો પોતાની બચતને સુરક્ષિત રાખવા માટે બેંકમાં જમા કરાવે છે. પરંતુ બેંક આ રકમને કેટલી જવાબદારીથી સાચવે છે તેનું ઉત્તમ ઉદાહરણ ઉત્તરપ્રદેશના કાનપુરમાં જોવા મળ્યું છે. કાનપુરના પાંડુનગરમાં આવેલી પંજાબ નેશનલ બેંકની શાખામાં રાખવામાં આવેલી રૂ. 42 લાખની નોટો પલડી ગઈ હતી.
ત્રણ મહિના પહેલા આ નોટો એક બોક્સમાં પેક કરીને રાખવામાં આવી હતી. આ દરમિયાન કોઈ પણ રીતે પાણી બોક્સમાં ઘુસી ગયું હતું, બેંક કર્મચારીઓએ ઉપરની નોટો જોઈ હતી પરંતુ નીચે નોટો જોવાનું ટાળ્યું હતું. તેમને એમ કે પાણી સુકાઈ ગયું છે. બેંકની તિજોરીમાં જગ્યા નહીં હોવાથી રોકડ રકમ બોક્સમાં ભરીને આ બોક્સને દિવાર પાસે રાખવામાં આવ્યું હતું.
દરમિયાન કાનપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો અને બેંકની દિવારમાં તિરાડો હોવાથી વરસાદી પાણી અંદર ટપક્યું હતું. તેમજ આ પાણી બોક્સમાં ઘુસી ગયું હતું. જેથી અંદર રાખવામાં આવેલી રૂ. 42 લાખની નોટો પલડી ગઈ હતી. આ સમયગાળામાં આરબીઆઈની ટીમ તપાસ માટે આવી હતી. આ ઉપરાંત વિજિલેન્સ ટીમે પણ તપાસ શરૂ કરી છે.
આરબીઆઈ અને વિજિલેન્સ ટીમની તપાસના રિપોર્ટ બાદ બેંકના ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સમગ્ર મામલે બેંક દ્વારા હજુ સુધી સત્તાવાર કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.