પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ફરી તણાવ: સામ-સામે અંધાધૂંધ ફાયરિંગ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર એકવાર ફરી તણાવ વધ્યો છે. શુક્રવારની મોડી રાત્રે બંને દેશોની સેનાઓ વચ્ચે સરહદ પર ગોળીબાર થયો હતો. જોકે, મીડિયા રિપોર્ટ્સ મુજબ કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા નાજુક યુદ્ધવિરામ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. બંને પક્ષો એકબીજા પર સંઘર્ષવિરામ તોડવાનો આરોપ લગાવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, આ ગોળીબાર પાકિસ્તાન-અફઘાન સરહદ પર આવેલા ચમન અને સ્પિન બોલદક વિસ્તારોમાં થયો હતો.
પાકિસ્તાની પોલીસ અધિકારી મોહમ્મદ સાદિકનો દાવો છે કે ફાયરિંગની શરૂઆત અફઘાનિસ્તાન તરફથી થઈ હતી, જેના જવાબમાં પાકિસ્તાની સૈનિકોએ કાર્યવાહી કરી હતી. બીજી તરફ કાબુલમાં તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે પાકિસ્તાન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, હુમલો પહેલા પાકિસ્તાની પક્ષે કર્યો હતો, અને અફઘાન દળોને જવાબ આપવો પડ્યો છે. અહેવાલ મુજબ અફઘાન સરહદ પોલીસના પ્રવક્તા અબિદુલ્લાહ ફારૂકીએ કહ્યું કે પાકિસ્તાની દળોએ સૌપ્રથમ હેન્ડ ગ્રેનેડ ફેંક્યા હતા, ત્યારબાદ અફઘાન સૈનિકોએ કાર્યવાહી કરી હતી. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાન હજી પણ સંઘર્ષવિરામનું પાલન કરવા પ્રતિબદ્ધ છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું છે કે, અફઘાન તાલિબાને કોઈપણ ઉશ્કેરણી વિના ગોળીબાર શરૂ કર્યો હતો અને પાકિસ્તાની સેના સંપૂર્ણ સતર્કતા સાથે દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી રહી છે.
ઓક્ટોબરમાં બંને દેશો વચ્ચે થયેલી ઘાતક અથડામણમાં ડઝનબંધ સૈનિકો અને નાગરિકો માર્યા ગયા હતા. ત્યારબાદ કતારની મધ્યસ્થીથી ઓક્ટોબરમાં સંઘર્ષવિરામ લાગુ કરવામાં આવ્યો હતો. જોકે, ઇસ્તંબુલમાં થયેલી શાંતિ વાર્તાઓ પણ કોઈ નક્કર સમજૂતી પર પહોંચી શકી નહોતી, જેના કારણે સરહદ પર તણાવ સતત જળવાઈ રહ્યો છે. પાકિસ્તાનની મુખ્ય ચિંતા લાંબા સમયથી પાકિસ્તાની તાલિબાન (TTP) છે, જેને તે મોટા ભાગના આતંકવાદી હુમલાઓ માટે જવાબદાર ઠેરવે છે. પાકિસ્તાનનો આક્ષેપ છે કે, 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર પાછા ફર્યા પછી મોટી સંખ્યામાં TTP લડવૈયાઓએ અફઘાનિસ્તાનમાં આશ્રય લીધો છે, જેના કારણે પાકિસ્તાનની સુરક્ષા પડકારો વધી ગયા છે.


