Homeગુજરાતીઉત્તરપ્રદેશમાં વાવાઝોડા અને વીજળી પડવાથી 18ના મોત, યોગીએ દુઃખ વ્યક્ત કર્યું

ઉત્તરપ્રદેશમાં વાવાઝોડા અને વીજળી પડવાથી 18ના મોત, યોગીએ દુઃખ વ્યક્ત કર્યું

લખનૌ, 5 મે 2026: ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ, તેજ પવન અને આકાશી વીજળી પડવાની ઘટનાઓને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ કુદરતી આપત્તિમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઉપરાંત 24 પશુઓના પણ મોત થયા છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડ્યું છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના દાખવી છે. સીએમ યોગીએ જણાવ્યું કે, સરકાર આ મુશ્કેલ સમયમાં દરેક પ્રભાવિત પરિવારની સાથે ઊભી છે. તેમણે અધિકારીઓને તાકીદ કરી છે કે ઘાયલોને તાત્કાલિક અને યોગ્ય સારવાર આપવામાં આવે જેથી કોઈ પણ પ્રકારની બેદરકારી ન રહે.

સીએમ યોગીએ રાહત કામગીરી તેજ કરવા માટે કડક આદેશો આપ્યા છે. તેમણે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને જાતે ફિલ્ડમાં હાજર રહી રાહત કામગીરીનું નિરીક્ષણ કરવા જણાવ્યું છે. સાથે જ આદેશ આપ્યો છે કે અતિવૃષ્ટિ, વાવાઝોડું અને વીજળી પડવાને કારણે થયેલી જનહાનિ, પશુહાનિ અને ઘાયલોને 24 કલાકની અંદર વળતર ચૂકવવામાં આવે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે આ મામલે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. વહીવટીતંત્રને પૂરી ગંભીરતા અને ઝડપ સાથે કામ કરવા સૂચના અપાઈ છે જેથી પ્રભાવિત લોકોને વહેલી તકે રાહત મળી શકે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં હવામાનનો મિજાજ અચાનક બદલાઈ રહ્યો છે. મે મહિનાની ગરમી વચ્ચે આ રીતે કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે ખાસ કરીને ગરીબ અને ગ્રામીણ વિસ્તારોના લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન પણ અનેક જિલ્લાઓમાં તેજ પવન અને વીજળી પડવાની ચેતવણી જારી કરી છે.

આ પણ વાંચોઃ ચીનમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 26 લોકોના મોત

RELATED ARTICLES

Most Popular

Recent Comments