નવી દિલ્હી, 7 મે 2026: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ‘ઓપરેશન સિંદૂર’ની વર્ષગાંઠ પર ભારતીય સશસ્ત્ર દળોના અદમ્ય શૌર્યને યાદ કર્યું છે. તેમણે જણાવ્યું કે સેનાના સાહસ અને સમર્પણને કારણે દેશની સુરક્ષા અભેદ્ય બની છે. ‘ઓપરેશન સિંદૂર’ એ રાષ્ટ્રીય સંકલ્પ અને સજ્જતાનું એક સશક્ત પ્રતીક છે.
ગુરુવારે(7 મે) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે લખ્યું કે, “ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર અમે અમારા સશસ્ત્ર દળોની વીરતાને નમન કરીએ છીએ. આ ઓપરેશન દરમિયાન ભારતીય સેનાઓએ અદ્વિતીય ચોકસાઈ અને ત્રણેય સેનાઓ વચ્ચે ગહન તાલમેલનું પ્રદર્શન કર્યું હતું, જેણે આધુનિક સૈન્ય અભિયાનો માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, આ અભિયાન ભારતની ‘આત્મનિર્ભરતા’ અને વધતી જતી સૈન્ય ક્ષમતાઓનું પ્રમાણ છે. રાજનાથ સિંહે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તેમની તે કડક ચેતવણી સામેલ છે કે, “ભારત આતંકવાદ વિરુદ્ધ જ્યારે પણ કાર્યવાહી કરશે, ત્યારે આતંકવાદીઓ અને તેમના આકાઓ માટે સરહદ પારની જમીન પણ સુરક્ષિત રહેશે નહીં.”
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ટ્વિટ કરીને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું કે, “145 કરોડ ભારતીયોની એકતા અને સશસ્ત્ર સેનાઓના અસાધારણ પરાક્રમની અભિવ્યક્તિ એટલે ‘ઓપરેશન સિંદૂર’. આ ઓપરેશને વિશ્વને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત પોતાની સુરક્ષા, સાર્વભૌમત્વ અને સન્માન સાથે કોઈ બાંધછોડ કરતું નથી.” સીએમ યોગીએ વધુમાં જણાવ્યું કે આ વિજયગાથા માત્ર ઈતિહાસ નથી, પરંતુ ભવિષ્ય માટેની પ્રેરણા છે અને રાષ્ટ્ર હંમેશા પોતાના વીર જવાનોનું ઋણી રહેશે.

