અયોધ્યા રામ મંદિર ચોરી કેસમાં આરોપીઓએ ચોરીના નાણાના કરેલા રોકાણ અંગે ચોંકાવનારા ખુલાસા
અયોધ્યા, 10 જુલાઈ 2026: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા પ્રસિદ્ધ રામ મંદિરમાં ચઢાવાની કથિત ચોરી મામલે પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, કથિત રીતે ચોરી કરવામાં આવેલી રકમનો એક મોટો હિસ્સો શેરબજારમાં રોકવામાં આવ્યો હતો અને કેટલાંક નાણાં વ્યાજે પણ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડમાં સગા-સંબંધિઓ અને નજીકના સાથીદારોના બેંક ખાતાઓનો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા. સમગ્ર કેસમાં પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આ કેસમાં અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસે આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, તપાસના ભાગરૂપે મુખ્ય આરોપી અનુકલ્પ મિશ્રાને તેના ઘરે લઈ જઈને આશરે 20 મિનિટ સુધી સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તેના પરિવારના સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ અગાઉ બુધવારે અન્ય સહ-આરોપીઓ લવકુશ મિશ્રા અને કરુણેશ પાંડેના નિવાસ્થને પણ દરોડા પાડીને તપાસ કરવામાં આવી હતી. પોલીસે આ મામલામાં ત્રણેય મુખ્ય આરોપીઓના સંબંધીઓના 30 જેટલા બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે, કારણ કે પ્રાથમિક તપાસમાં આ ખાતાઓમાં તેમની જાણીતી આવકના સ્ત્રોત કરતાં વધુ પ્રમાણમાં શંકાસ્પદ લેણદેણ જોવા મળી છે.
સર્ચ ઓપરેશન દરમિયાન આરોપીઓના ઘરેથી રોકડના બંડલો, સોનાના ઝુમખા અને લોકેટ સહિતના દાગીના તેમજ એક કાર મળી આવી છે, જોકે પોલીસે હજુ સુધી જપ્ત કરાયેલી સચોટ રોકડ રકમનો ખુલાસો કર્યો નથી. પૂછપરછ દરમિયાન આરોપીઓએ સ્વીકાર્યું છે કે નાણાં સગા-સંબંધિઓમાં વહેંચી દીધા બાદ ટ્રાન્ઝેક્શન છુપાવવા માટે ફરી પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અનુકલ્પ મિશ્રાના નામે અયોધ્યામાં ખરીદાયેલી એક એકર જમીનના દસ્તાવેજો પણ મળી આવ્યા છે, જેની સરકારી કિંમત દસ્તાવેજ મુજબ 6.7 લાખ રૂપિયા છે પરંતુ હાલની બજાર કિંમત તેનાથી ઘણી વધારે હોવાનું અનુમાન છે. રામ મંદિર ટ્રસ્ટની ભલામણ બાદ ઉત્તર પ્રદેશ સરકારે ગઠિત કરેલી એસઆઈટી (SIT) તપાસના આધારે આ મામલે અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.


