અમદાવાદઃ શહેરના માર્ગો ઉપર આગામી દિવસોમાં AMTSની CNG અને ઈ-બસો દોડશે
અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણને ઘટાડવા માટે સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ચાલુ વર્ષના અંત સુધીમાં અમદાવાદ શહેરના માર્ગો ઉપર દોડતી એએમટીએસની તમામ બસો CNG અને ઇલેક્ટ્રિકથી દોડતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નવા વાડજમાં બસ ટર્મિનલનું 1.74 કરોડના ખર્ચે નવીનીકરણ કરીને બસ ટર્મિનલ પ્રજાજનો માટે ખુલ્લું મુકવામાં આવ્યું. મેયર કિરીટ પરમાર અને મ્યુનિસીપલ કમિશનર લોચન સહેરાએ આ બસ ટર્મિનલની શરૂઆત કરાવી. દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે ચાલુ વર્ષના અંત સુધી AMTSની તમામ ડીઝલ બસ હટાવી CNG અને ઇલેક્ટ્રિક બસ કરવાની પણ જાહેરાત કરી છે.
મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, આ વર્ષના અંત સુધી તમામ ડીઝલ AMTS બસ હટાવી દેવાશે અને તમામ બસ CNG અને ઇલેક્ટ્રિક બસ કરી દેવાશે. જેથી પોલ્યુશન પર અસર પડતી ઘટાડી શકાય.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તંત્ર ઇકો સિસ્ટમ તરફ આગળ વધવાના પ્રયાસના ભાગે પ્રક્રિયા કરી રહ્યું છે. મેટ્રો પણ ઓગસ્ટ મહિનામાં શરૂ થવાની હોવાનું જણાવી ઇકો સિસ્ટમ ઉભી થશે તેવું પણ નિવેદન આપ્યું. CNG અને ઈકેક્ટ્રિક બસ અને ઇ રીક્ષા મારફતે ઇકો સિસ્ટમ ઉભી થશે તેવું મ્યુનિસિપલ કમિશનર જણાવ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા પ્રદુષણને ઘટાડવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. ઈલેક્ટ્રોનીક વાહનને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેથી અનેક લોકો હવે ઈ-વાહન અપનાવી રહ્યાં છે.
(PHOTO-FILE)