1. Home
  2. ગુજરાતી
  3. રાઘવ ચઢ્ઢા સહિત AAP ના તમામ 7 બાગી સાંસદો હવે ભાજપના, રાજ્યસભાએ આપી મંજૂરી
રાઘવ ચઢ્ઢા સહિત AAP ના તમામ 7 બાગી સાંસદો હવે ભાજપના, રાજ્યસભાએ આપી મંજૂરી

રાઘવ ચઢ્ઢા સહિત AAP ના તમામ 7 બાગી સાંસદો હવે ભાજપના, રાજ્યસભાએ આપી મંજૂરી

0
Social Share

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: આમ આદમી પાર્ટી (આપ) માટે રાજકીય સંકટ ઘેરૂ બન્યું છે. રાજ્યસભા સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશન અનુસાર, રાઘવ ચઢ્ઢા સહિત આપ છોડનારા તમામ 7 સાંસદોને હવે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે માન્યતા આપી દેવામાં આવી છે. આ ફેરફાર સાથે જ ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 પર પહોંચી ગઈ છે.

ગત શુક્રવારે (24 એપ્રિલ, 2026) એક આશ્ચર્યજનક ઘટનાક્રમમાં રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડવાની જાહેરાત કરી હતી. આ નેતાઓએ દાવો કર્યો હતો કે તેમની સાથે હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, વિક્રમ સાહની અને રાજીન્દર ગુપ્તા પણ સામેલ છે. રાજ્યસભા સચિવાલયની તાજેતરની અધિસૂચનાએ હવે આ તમામ સાત સાંસદોના પક્ષપલટા પર મહોર મારી દીધી છે.

“આપ”ના વરિષ્ઠ નેતા સંજય સિંહે રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને આકરો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે,”આ સાતેય સાંસદોનું આ પગલું સીધું પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ આવે છે. આ તમામ સાંસદોને તાત્કાલિક અસરથી અયોગ્ય જાહેર કરવા જોઈએ.” સંજય સિંહે વધુમાં ઉમેર્યું હતું કે જો જરૂર પડશે તો આમ આદમી પાર્ટી આ મામલે કાયદાકીય લડત પણ લડશે. જોકે, સચિવાલયના આ નિર્ણયથી “આપ”ની મુશ્કેલીઓમાં ધરખમ વધારો થયો છે.

આ સાત સાંસદોના જોડાવાથી રાજ્યસભામાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત થઈ છે. 113ની સંખ્યા સાથે ભાજપ હવે ગૃહમાં નિર્ણાયક ભૂમિકામાં આવી ગયું છે, જે આગામી સમયમાં મહત્વના બિલ પસાર કરાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ બંધારણના ઘડવૈયાઓએ સૌથી મહત્ત્વના શબ્દ ધર્મને વ્યાખ્યા વગરનો છોડી દીધોઃ જૈનાચાર્ય

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code