મુખ્ય ન્યાયમૂર્તિ જેના મુખ્ય મહેમાન હતા તે ટાટા ઈન્સ્ટિટ્યૂટનો દિક્ષાંત સમારંભ એકાએક રદ
મુંબઈ, 1 ઓગસ્ટ, 2026: મુખ્ય ન્યાયમૂર્તિ જેના મુખ્ય મહેમાન હતા તે ટાટા ઈન્સ્ટિટ્યૂટનો દિક્ષાંત સમારંભ એકાએક રદ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. મુંબઈ સ્થિત ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS) એ પોતાનો 86મો પદવીદાન સમારંભ (દિક્ષાંત સમારોહ) અચાનક મુલતવી રાખ્યો છે. આ સમારોહ 2 August ના રોજ યોજાવાનો હતો. રજિસ્ટ્રારે ગુરુવારે અડધી રાત પછી વિદ્યાર્થીઓને ઈમેલ મોકલ્યો હતો. ઈમેલમાં જણાવવામાં આવ્યું હતું કે અણધાર્યા સંજોગોના કારણે સમારોહ મુલતવી રાખવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ ભગવા વસ્ત્રોમાં સંસદ સંકુલમાં નૌટંકી કરનાર પપ્પુ યાદવ સામે કેસ દાખલ
ઈન્સ્ટિટ્યૂટના અધિકારીઓ અને વિદ્યાર્થીઓનું કહેવું છે કે કેમ્પસની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પદવીદાન સમારંભ મુલતવી રાખવામાં આવ્યો છે. એવી ગુપ્ત માહિતી મળી હતી કે મહેમાનોને નિશાન બનાવીને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ શકે છે.
તંત્રને ડર હતો કે ‘કોકરોચ જનતા પાર્ટી’ આંદોલન સાથે જોડાયેલા લોકો કાર્યક્રમમાં વિરોધ કરી શકે છે. આ વખતે મુખ્ય અતિથિ તરીકે ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને સન્માનિત અતિથિ તરીકે બોમ્બે હાઈકોર્ટના કાર્યવાહક CJI રવીન્દ્ર ધુગે ઉપસ્થિત રહેવાના હતા.
TISS એ શું કહ્યું?
પદવીદાન સમારંભ મુલતવી રાખવા અંગે TISS એ કહ્યું કે અમે જોયું કે સમારોહ યોગ્ય વાતાવરણમાં થઈ શકે તેમ નહોતો. જો આગળ વધત તો વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફ અને મહેમાનો પર તેની અસર પડત. તેથી આ મુશ્કેલ નિર્ણય લેવો પડ્યો છે.
બીજી તરફ, આ નિર્ણયના કારણે સેંકડો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઘણા લોકોએ અગાઉથી જ ફ્લાઈટ, ટ્રેન અને હોટેલ બુક કરાવી લીધી હતી.
જોકે TISS એ પાછળથી કહ્યું કે તેઓ પરિવારજનોની મુશ્કેલી સમજે છે. છેલ્લી ઘડીએ રદ થવાથી જેમને નાણાકીય નુકસાન થયું છે, તેમની અરજીઓ પર અલગથી વિચાર કરવામાં આવશે. ઈન્સ્ટિટ્યૂટે આશ્વાસન આપ્યું છે કે ટૂંક સમયમાં નવી તારીખ જણાવવામાં આવશે. જેમને ડિગ્રી તાત્કાલિક જોઈતી હોય, તેમને પ્રોવિઝનલ સર્ટિફિકેટ આપી દેવામાં આવશે.


