મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ વકર્યોઃ હનુમાન ચાલીસાનું પઠન કરતા મનસેના કાર્યકરોની અટકાયત
મુંબઈઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરના મુદ્દે વિવાદ વકર્યો છે. તેમજ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ મસ્જીદોમાંથી લાઉડસ્પીકર ઉતારી લેવા માટે ચિમકી ઉચ્ચારી હતી. દરમિયાન આજે મનસેના કાર્યકરોએ વિવિધ સ્થળો ઉપર હનુમાન ચાલીસા કરી હતી. બીજી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર મહારાષ્ટ્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દરમિયાન કેટલાક સ્થળો ઉપર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો અને પોલીસ વચ્ચે ચકમક ઝરવાની ઘટના બની હતી. પોલીસે હનુમાન ચાલીસાનું પઠન કરવા મામલે 250થી વધારે કાર્યકરોની અટકાયત કરી હતી. મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર મામલે રાજકીય મામલો ગરમાયો છે. દરમિયાન દરમિયાન NCP સુપ્રીમો શરદ પવારની અધ્યક્ષતામાં મહાવિકાસ અઘાડીની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના સોલાપુરમાં એક મસ્જિદની સામે MNS કાર્યકરો હનુમાન ચાલીસા વાંચવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પોલીસ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પોલીસે મારુતિ મંદિર ખાતેથી લાઉડ સ્પીકર એમ્પ્લીફાયર જપ્ત કર્યું હતું. જો કે, મનસેના કાર્યકરોએ હનુમાન ચાલીસાનું પઠન કરીને નારાજગી વ્યક્ત કરી હતી. નવી મુંબઈની સાનપાડા પોલીસે મહારાષ્ટ્ર નવ-નિર્માણ સેનાના શહેર પ્રમુખ યોગેશ શેટેની અટકાયત કરી હતી. બીજી તરફ સંજય રાઉતે રાજ ઠાકરે પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે શિવસેનાની ‘હિંદુત્વ સ્કૂલ’ જ વાસ્તવિક છે. ભાજપના નેતા નિતેશ રાણેએ ટ્વીટ કર્યું કે, લાઉડસ્પીકર એ અસલી સમસ્યા નથી, પરંતુ અસલી સમસ્યા રઝા એકેડમી અને પીએફઆઈ જેવા આતંકવાદી સંગઠનોની છે. જે લોકોમાં ઝેર ફેલાવે છે. લાઉડસ્પીકર વિવાદ વચ્ચે મહારાષ્ટ્રમાં MNSના અઢીસોથી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં લાઉડસ્પીકર વિવાદને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.