1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે રેલવેના ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ, વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાશે
રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે રેલવેના ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ, વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાશે

રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે રેલવેના ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ, વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાશે

0
Social Share

રાજકોટઃ અમદાવાદ-રાજકોટ વચ્ચે રેલવેની બ્રોડગેજ લાઈન પર અનેક ટ્રેનો પસાર થતી હોવાથી બ્રોડગેજ લાઈન ટ્રેનોની અવર-જવર માટે વ્યસ્ત રહેતી હોય છે. જેમાં રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડબલ ટ્રેક પ્રોજેક્ટનું લોકાર્પણ કરાશે. ડબલ ટ્રેક કાર્યરત થતાં રાજકોટથી અમદાવાદ જવામાં સમય અને ખર્ચની બચત થશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને અમદાવાદ પહોંચવું સરળ બનશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે 1,056 કરોડના ખર્ચે ડબલ ટ્રેકની કામગીરી ઘણા સમયથી પૂર્ણ થઈ ચૂકી છે. હાલ રાજકોટ-કાનાલૂસની 1,080 કરોડના ખર્ચે કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ખાસ કરી રાજકોટ-અમદાવાદ વચ્ચે ડબલ લાઈનનું કામ પૂરું થતાં ટ્રેનમાં હવે રાજકોટથી અમદાવાદ જવા માટે સમયની બચત થશે. રાજકોટથી અમદાવાદ સુધી પહોંચવામાં એકાદ કલાકનો સમય ઘટશે. તેમજ ડીઝલ માટેના ખર્ચમાં ઘટાડો થતા નાણાંની પણ બચત થશે.

પશ્વિમ રેલવેના સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ અને સુરેન્દ્રનગર વચ્ચેના કુલ 116 કિલોમીટર એરિયાના ડબલ ટ્રેકની કામગીરી રેલવે દ્વારા પૂર્ણ કરાઈ હતી. ચારેક વર્ષ ચાલેલી આ કામગીરી માટે કુલ રૂપિયા 1,056 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. ડબલ ટ્રેક થતા ટ્રેનોની ફ્રિક્વન્સી વધશે, સમયનો બચાવ થશે અને ટ્રેનોની ગતિ પણ વધશે. સિંગલ ટ્રેક હોવાથી ટ્રેનોના ક્રોસિંગ સમયે સમયનો ખૂબ બગાડ થતો હતો. આ ટ્રેક પર ગુડઝ અને પેસેન્જર ટ્રેનોનો 147% ટ્રાફિક રહેતો હતો અને સિંગલ ટ્રેક હોવાથી ટ્રેનોનું ક્રોસિંગ કરવામાં સમયનો બગાડ થતો હતો. જોકે હવે ડબલ ટ્રેક તૈયાર થતા સમયની બચત થશે.

હાલ વંદેભારત, શતાબ્દી રાજધાની જેવી હાઈસ્પીડ ટ્રેનો અમદાવાદથી ચાલી રહી છે. જેને કારણે સૌરાષ્ટ્ર અને રાજકોટવાસીઓને ટ્રેનોનો લાભ લેવો હોય તો અમદાવાદ જવું પડે છે અને ત્યાંથી આ ટ્રેનો પકડવી પડે છે. જેથી લોકોના સમયનો વ્યય થાય છે. પરંતુ ડબલ ટ્રેકનું કામ પૂરું થતાં આવનારા ટૂંક સમયમાં જ રાજકોટને લાંબા અંતરની હાઈસ્પીડ ટ્રેનો મળશે. જેથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરના મુસાફરોને રાજકોટથી જ આ હાઈસ્પીડ ટ્રેનોનો લાભ મળતા તેમનો સમય બચશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code