શંકરસિંહ વાઘેલાનો ૮૭મો જન્મોદિવસ સમર્પણ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ઉજવાયો
- “જન્મ ક્યાં અને ક્યારે લેવો તે વ્યક્તિના હાથમાં નથી હોતું પરંતુ જીવન કેવું જીવવું તે વ્યક્તિના હાથમાં હોય છે” – શંકરસિંહ વાઘેલા
ગાંધીનગર, 23 જુલાઈ, 2026 – ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટ સમર્પણ આર્ટસ અને કોમર્સ કોલેજ રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી અને ગુજરાત રાજ્યના પૂર્વમુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા બાપુના ૮૭મા જન્મદિવસની ઉજવણી સમર્પણ એજ્યુકેશન એન્ડ રિસર્ચ કેમ્પસમાં કરવામાં આવી. આ પ્રસંગે ટ્રસ્ટીશ્રી મહેન્દ્રસિંહજી વાઘેલા, કેમ્પસ રજીસ્ટ્રાર ડૉ. એમ. ડી. પાંડે તેમજ ટ્રસ્ટ પરિવારની દરેક સંસ્થાના આચાર્ય, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને બિનશૈક્ષણિક કર્મચારીગણ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

બાપુના આગમન સમયે કોલેજની વિદ્યાર્થિની કુ. નેન્સી દ્વારા મંત્રોચ્ચાર સાથે તિલક કરવામાં આવ્યું, એ જ દિવસે ગુજરાતના મૂર્ધન્ય કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મ જયંતી પણ હોવાથી સમર્પણ મૂલ્યપ્રવાહ દ્વારા આયોજિત કાર્યક્રમમાં બાપુ દ્વારા ઉમાશંકર જોશીના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા, ત્યારબાદ કૉલેજના વિદ્યાર્થી ભાઇઓ બહેનો, અધ્યાપકો તેમજ રાષ્ટ્રીય સેવા યોજના સ્વયંસેવક અને નેશનલ ક્રેડિટ કોર્પના જવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું. બાપુએ કૉલેજના પુસ્તકાલયની ખૂબ જ રસપૂર્વક મુલાકાત લીધી અને તેના વિકાસ માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું.
પરંપરાગત સ્વાગત
સત્કાર સમારંભની શરૂઆત કોલેજની વિદ્યાર્થિની કુ. ઋષ્મિતા દ્વારા સંસ્કૃતમાં જન્મદિન શુભેચ્છા ગાન દ્વારા કરવામાં આવી ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે દીપ પ્રાગટ્ય અને સંસ્થાની પરંપરા મુજબ પ્રકૃતિ તુલસી પૂજન કરવામાં આવ્યું, કૉલેજના આચાર્ય ડૉ. આશિષ જનકરાય દવેએ ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત સાથે બાપુને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કૉલેજના ગત વર્ષના સ્ટુડન્ટ ઑફ ધ યર રુદ્રાય વ્યાસ અને વોલિન્ટિયર્સ ઑફ ધ યર દિગ્વિજય સિંહ ઝાલા દ્વારા બાપુને શાલ અને પુસ્તક દ્વારા અને દરેક સંસ્થા દ્વારા સુતરની આંટી પહેરાવી બાપુનું સ્વાગત કરવામાં આવ્યું.

બાપુએ વર્ણવ્યા પોતાના અનુભવ
શંકરસિંહજીએ પોતાના ઉદબોધનમાં પોતાના વતન વાસણથી રાંધેજા સુધી પગે ચાલીને મેળવેલા શાળા શિક્ષણ, વાસણથી અપ ડાઉન કરી અમદાવાદમાં કૉલેજ શિક્ષણ અને વિસનગર અનુસ્નાતક શિક્ષણ મેળવવાના કઠિન અનુભવને આધારે અનુદાનિત શિક્ષણ આપતી કૉલેજ શરૂ કરવાની પ્રેરણા મળી હતી, જીવનમાં કોઈ શૉર્ટકટ નથી, જન્મ ક્યાં અને ક્યારે લેવો તે વ્યક્તિના હાથમાં નથી હોતુ પરંતુ જીવન કેવુ જીવવું તે વ્યક્તિના હાથમાં હોય છે, માટે વિદ્યાર્થીઓ વાડાઓમાંથી બહાર નીકળી પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવવા પ્રયત્નશીલ બનો, અધ્યાપકો અને શિક્ષકો વિદ્યાર્થીઓને પોતાના સંતાનની માફક જ્યારે જોશે ત્યારે જ કેળવણી સાર્થક બનશે, દિવસે દિવસે શિક્ષણમાં ઘટતી જતી સંવેદના મોટી વૈશ્વિક સમસ્યા બનતી જાય છે તેની ટકોર પણ કરી હતી. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું, કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. દીપક પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.


