સોમનાથ અમૃત મહોત્સવ, ભારત સરકારની નીતિમાં આમુલ પરિવર્તન
રિવોઈ ન્યૂઝ, 8 મે, 2026 – સોમનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો અમૃત મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે ભારત સરકારની નીતિમાં આમુલ પરિવર્તન જોવા મળ્યું છે. આજથી 75 વર્ષ પહેલાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને સોમનાથ મંદિર પ્રત્યે જરાય ભક્તિભાવ નહોતો એ તો જાણીતી વાત છે. પરંતુ તે સમયે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં સામેલ થાય એ વાત પણ કોંગ્રેસના વડાપ્રધાન નહેરુને મંજૂર નહોતી.
જોકે હવે 75 વર્ષ પછી દેશમાં એક રાષ્ટ્રવાદી સરકાર છે અને ભારતના ઇતિહાસના આ સૌથી મહત્ત્વના, સૌપ્રથમ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠાનો અમૃત મહોત્સવ આગામી 11મી મેને સોમવારે યોજાઈ રહ્યો છે ત્યારે ભારત સરકારે પોતે અખબારોમાં જાહેરખબર આપને તેની ગર્વભેર ઘોષણા કરી છે.
આ પણ વાંચોઃ પીએમ મોદીએ સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે લેખ લખ્યો, જાણો શું કહ્યું?
આ તબક્કે અહીં 1951ની એ ઘટનાને પણ યાદ કરવી જોઈએ જ્યારે નહેરુએ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સોમનાથ આવતા રોકવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આમ તો ભારતની શ્રદ્ધાના કેન્દ્ર સમાન આ મંદિરના જીર્ણોદ્ધારમાં સરદાર વલ્લભભાઈ પટેલની મુખ્ય ભૂમિકા હતી પરંતુ મંદિરનો જીર્ણોદ્ધાર પૂર્ણ થાય અને તેમાં જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા થાય તે પહેલાં સરદાર પટેલ 1950માં અવસાન પામ્યા. પરિણામે તેઓ પોતાના સ્વપ્નને પૂર્ણ થતું જોઈ શક્યા નહોતા.
જોકે, સોમનાથ મંદિર ટ્રસ્ટે રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને મુખ્ય મહેમાન તરીકે નિમંત્રિત કર્યા હતા. રાષ્ટ્રપતિએ એ માટે સંમતિ આપી હતી પણ એ વાતની જાણ કોંગ્રેસના વડાપ્રધાન જવાહરલાલ નહેરુને થતાં તેમણે પત્ર લખીને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સોમનાથ નહીં જવા વિનંતી કરી હતી.
આ પણ વાંચોઃ સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે પીએમ મોદી ગુજરાત આવશે
અલબત્ત એ વાત અલગ છે કે રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે પોતાની ધાર્મિક શ્રદ્ધાને મહત્ત્વ આપ્યું અને 11મી મે, 1951ના રોજ યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. એ વાતને 75 વર્ષ વિત્યા છે અને ભવ્ય સોમનાથ મંદિરનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતે તેમાં સામેલ થવાના છે. આ વાતની ગૌરવભેર જાહેરાત ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે તે એક પ્રકારે સાંસ્કૃતિક પરિવર્તનનું દ્યોતક છે.


