પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના શાસનમાં રાજકીય હત્યાની શરૂઆતઃ અમિત શાહ
નવી દિલ્હીઃ હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. દરમિયાન ભાજપના યુવા કાર્યકરની લાશ મળી આવતા ભાજપના નેતા-કાર્યકરોમાં રોષ ફેલાયો છે. દરમિયાન અમિત શાહે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. તેમજ પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, ટીએમસીના શાસનમાં રાજકીય હત્યાઓ શરૂ થઈ છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની કોલકાતા મુલાકાતના કલાકો પહેલાં, ભાજપના કાર્યકરનો મૃતદેહ તેના ઘરની નજીક એક નિર્જન બિલ્ડીંગમાં લટકતો મળી આવ્યો હતો. મૃતક અર્જુન ચૌરસિયા ઉત્તર કોલકાતામાં રહેતા હતા અને ભારતીય જનતા યુવા મોરચાના મંડળ ઉપાધ્યક્ષ હતો. તેઓ અમિત શાહના સ્વાગત માટે બાઇક રેલીનું નેતૃત્વ કરવાના હતા.
અમિત શાહ આજે બપોરે અર્જુન ચૌરસિયાના ઘરે પહોંચ્યા હતા અને પરિવારને હિંમત આપી હતી. શાહે કહ્યું- આ એક રાજકીય હત્યા છે. બંગાળમાં બીજેપી કાર્યકર્તાઓને શોધી-શોધીને મારવામાં આવી રહ્યા છે. આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવશે. ટીએમસી સરકારે પોતાના કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ કર્યું છે. રાજ્યમાં આજથી રાજકીય હત્યાઓ શરૂ થઈ ગઈ છે. તેની દાદીને પણ માર મારવામાં આવ્યો હતો. ભાજપે આ ઘટનાની સીબીઆઈ તપાસની માંગ કરી છે.
બીજેપીના બંગાળ યુનિટે કહ્યું- ગયા વર્ષે ભાજપના 57 કાર્યકરોની હત્યા કરવામાં આવી હતી. માનવતાનું ગળું દબાવવામાં આવ્યું છે. આ બધા પાછળ તૃણમૂલ કોંગ્રેસનો હાથ છે.
બંગાળના બીજેપીના વરિષ્ઠ નેતા રાહુલ સિંહાએ આરોપ લગાવ્યો હતો કે, અર્જુન ચૌરસિયાની તૃણમૂલ સ્ટાઈલમાં હત્યા કરીને ફાંસી આપવામાં આવી હતી. આ ઘટનામાં ટીએમસીના નીચલા સ્તરના નેતાઓ જ નહીં, પણ ટોચનું નેતૃત્વ પણ સામેલ છે. દરમિયાન તૃણમૂલ સાંસદ શાંતનુ સેને કહ્યું હતું કે, અમારી સામેના આરોપો પાયાવિહોણા છે. પોલીસને આ મામલે તપાસ કરવા દો.
અર્જુન ચૌરસિયાના મૃતદેહને લેવા કાશીપુર પહોંચેલી પોલીસને દેખાવકારોએ ઘેરી લીધી હતી. તેઓ મૃતદેહને લઈ જવા દેતા ન હતા. પોલીસે પહેલા તેમને સમજાવવાની કોશિશ કરી પરંતુ તેઓ ન માનતા બળપ્રયોગ કર્યો હતો.