ગાંધીનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થયાને હજી તો ગણતરીના દિવસો જ વિત્યા છે ત્યાં આમ આદમી પાર્ટીનો આંતરિક અસંતોષ બહાર આવવા લાગ્યો છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી એકમાત્ર વિજેતા થયેલા કોર્પોરેટર તુષાર પરીખને સ્થાનિક કાર્યક્રમોમાં નજર અંદાજ કરાતા હોય પરીખ દ્વારા રાજીનામાંની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી તરફથી એકમાત્ર વિજેતા થયેલા કોર્પોરેટર તુષાર પરીખ દ્વારા ટ્વીટર પર બળાપો કાઢવામા આવ્યો હતો. અરવિંદ કેજરીવાલને ટેગ કરી કરવામાં આવેલા ટ્વીટમાં ચીમકી ઉચ્ચારવામા આવી છે કે, જો સ્થાનિક કક્ષાએ પાર્ટી દ્વારા તેનું માન સન્માન જળવાશે નહીં તો તે પાર્ટી છોડી દેશે. ગાંધીનગરમાં સ્થાનિક નેતાઓ દ્વારા નાના મોટા નિર્ણયો કાર્યકરોને પૂછ્યા વિના જ મનસ્વી રીતે કરાતા હોવાની બુમરાણ ઉઠી છે. ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ત્રીજા વિકલ્પ તરીકે ઉભરવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાતમાં દિલ્હી મોડલની વાત કરી સુરતની માફક પરિણામ લાવવાનો પ્રયાસો કરાયો હતો. પરંતુ, ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટીના ફક્ત એક જ ઉમેદવારની જીત થઈ હતી. તે ઉમેદવાર પણ હવે નારાજ થતા રાજીનામાંની ચીમકી આપી રહ્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીની પણ રાજ્યમાં કોંગ્રેસ જેવી સ્થિતિ છે, કાર્યકર્તાઓ ઓછા અને નેતાઓ વધુ છે. આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા પોતાને નેતા જ માને છે. બીજુ કે શહેર કે પ્રદેશના નેતાઓ દ્વારા જે કાર્યક્રમો યોજવામાં આવે છે. તે કાર્યક્રમોની ચૂંટાયેલા સભ્યોને જાણ હોતી નથી.