1. Home
  2. ગુજરાતી
  3. રાજકોટ-અમદાવાદ ‘સિક્સ લેન’ હાઈ-વેનું કામ એપ્રિલ-2022 સુધીમાં પૂર્ણ કરાશે
રાજકોટ-અમદાવાદ ‘સિક્સ લેન’ હાઈ-વેનું કામ એપ્રિલ-2022 સુધીમાં પૂર્ણ કરાશે

રાજકોટ-અમદાવાદ ‘સિક્સ લેન’ હાઈ-વેનું કામ એપ્રિલ-2022 સુધીમાં પૂર્ણ કરાશે

0
Social Share

અમદાવાદઃ  સૌરાષ્ટ્ર-ગુજરાત માટે અત્યંત મહત્ત્વના ગણાતાં રાજકોટ-અમદાવાદ ‘સિક્સ લેન’ હાઈ-વેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આ પ્રોજેક્ટને એપ્રિલ-2022 સુધીમાં પૂર્ણ કરી દેવા માટે સરકાર દ્વારા તનતોડ પ્રયાસો ચાલી રહ્યા છે. દરમિયાન શુક્રવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાઈ-વે પ્રોજેક્ટની સ્થળ મુલાકાત લઈને વિવિધ વિગતો મેળવી હતી.

આ ઉપરાંત સિક્સ લેન હાઈ-વેના રસ્તામાં આવતાં વિવિધ ઓવરબ્રિજની કામગીરીનું પણ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. મોટાભાગે વિધાનસભાની ચૂંટણી પહેલાં કોઈપણ ભોગે આ હાઈ-વે શરૂ કરી દેવા માટે સરકારે વ્યૂહરચના ઘડી કાઢી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સૂત્રોએ  જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ગુજરાત માટે અત્યંત મહત્ત્વનો છે. શુક્રવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને માર્ગ-મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ  સિક્સ લાઈન હાઈવેની કામગીરીનું  નિરીક્ષણ કર્યું હતું. અને કામગીરીની સમીક્ષા કરી હતી. અત્યારે જે પ્રકારે કામગીરી ચાલી રહી છે તેને જોતાં એપ્રિલ સુધીમાં આ હાઈ-વે વાહનચાલકો માટે ખુલ્લો મુકી દેવામાં આવશે. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીએ વિવિધ ઓવરબ્રિજની કામગીરીનું પણ નિરીક્ષણ કરીને જરૂરી સુચનો કર્યા હતા.

તેમણે કહ્યું કે કોરોના મહામારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનને લીધે કામગીરી થોડી ખોરંભે ચડી જવા પામી હતી પરંતુ હવે સ્થિતિ સામાન્ય બનતાં તેમાં ફરી ઝડપ લાવવામાં આવી રહી છે. આ હાઈ-વેનું કામ અલગ અલગ ફેઈઝમાં ચાલી રહ્યું છે અને તેના મોટાભાગના ફેઈઝનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે અંતિમ તબક્કાનું કામ બાકી હોવાથી એપ્રિલ સુધીમાં તેને પૂરું કરીને વાહનચાલકો માટે હાઈ-વેને ખુલ્લો મુકી દેવામાં આવશે.

આ ઉપરાંત રસ્તામાં વિવિધ ઓવરબ્રિજ પણ આવી રહ્યા હોવાથી તેનું કામ પણ ઝડપથી પૂર્ણ કરી લેવા નાયબ મુખ્યમંત્રી દ્વારા તાકિદ કરવામાં આવી હતી.આ હાઈ-વે શરૂ થઈ ગયા બાદ વાહનચાલકોને તો રાહત મળશે જ સાથે સાથે વેપાર-ધંધાને પણ પ્રોત્સાહન મળી રહેશે કેમ કે રાજકોટથી ઉત્પાદન થઈને અનેક વસ્તુઓ ગુજરાતના અન્ય શહેરોમાં મોકલવામાં આવે છે.

આ ઉપરાંત દરરોજ અપડાઉન કરતાં વાહનચાલકોને પણ આ હાઈ-વેથી ઘણી રાહત પહોંચશે. બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ 2022માં આવી રહી હોવાથી ચૂંટણી પહેલાં જ આ હાઈ-વે શરૂ થઈ જાય તેવી સરકારની કોશિશ ચાલી રહી છે. બીજી બાજુ હાઈ-વેના નિર્માણ કાર્યને લઈને ઓથોરિટી દ્વારા 100 જેટલા ડાયવર્ઝન કાઢવામાં આવ્યા હોય તેના કારણે અત્યારે વાહનચાલકોને ઘણી મુશ્કેલી નડી રહી છે અને ડાયવર્ઝનની સંખ્યામાં ઘટાડો કરવા માટેની માંગણી પણ છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે. હજુ એપ્રિલ-2022ને ઘણો સમય બાકી હોવાથી ત્યાં સુધી આટલી સંખ્યામાં ડાયવર્ઝન રહેવાથી ચાલકોને મુશ્કેલી વેઠવી પડતી હોવાથી તેમાં ઘટાડો કરવો જરૂરી બની જાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code