બિહારમાં સ્મશાનગૃહનું સંચાલન સદ્દગુરુની સંસ્થા ઈશા ફાઉન્ડેશનને સોંપાતા વિવાદ
પટણા, 27 જૂન, 2026 – બિહારમાં હવે એક નવો વિવાદ જાગ્યો છે. રાજધાની પટણામાં સરકાર દ્વારા બનાવવામાં આવેલા એક સ્મશાનગૃહનું સંચાલન સદ્દગુરુ જગ્ગીની સંસ્થા ઈશા ફાઉન્ડેશનને સોંપાતા વિવાદ શરૂ થયો છે. આ વિવાદ થવાનું મૂળ કારણ એ છે કે, અન્ય સામાન્ય સ્મશાન ગૃહોમાં મૃતકની અંતિમક્રિયાનો ખર્ચ 300 રૂપિયા થાય છે, જેની સામે ઈશા ફાઉન્ડેશન સંચાલિત આ માટે 3500 રૂપિયાનો ખર્ચ થશે.
સ્વર્ગસ્થની અંતિમ યાત્રા કોઈ પરિવાર માટે માત્ર એક ધાર્મિક પ્રક્રિયા નથી હોતી પરંતુ તે ભાવનાત્મક રીતે સૌથી મુશ્કેલ સમય હોય છે. આવા સમયે જો પરિવારને અવ્યવસ્થા, લાંબી પ્રતીક્ષા, અસુવિધા અને અનિશ્ચિત ખર્ચનો સામનો કરવો પડે તો તે પીડા વધુ વધી જાય છે. બિહાર સરકાર છેલ્લા કેટલાક સમયથી આ જ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાની દિશામાં કામ કરી રહી છે.
રાજ્યમાં આધુનિક સ્મશાન ગૃહોના નિર્માણ અને જૂના સ્મશાન ઘાટોને સુવિધાજનક બનાવવાની પહેલ આ જ વિચારધારાનો ભાગ છે. રાજધાની પટનાના બાંસઘાટ શવદાહ ગૃહને આધુનિક સ્વરૂપ આપીને તેના સંચાલનની જવાબદારી ‘સદ્ગુરુ’ જગ્ગી વાસુદેવની સંસ્થા ઇશા ફાઉન્ડેશનને સોંપવામાં આવી છે. જો કે, આ બાબતને લઈને હવે વિવાદ પણ શરૂ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ અંગે સવાલો ઉઠાવ્યા છે.
કેટલાક લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર સંસ્થા સાથે મળીને શ્મશાનનો પણ ‘વ્યવસાય’ કરી રહી છે અને તેનાથી ગરીબોને કોઈ ફાયદો નહીં થાય. જો કે, સંસ્થાનું કહેવું છે કે આ સમગ્ર પ્રયાસને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે, જ્યારે આનો ઉદ્દેશ્ય નફો કમાવવાનો નથી પરંતુ અંતિમ સંસ્કારની વ્યવસ્થાને પારદર્શક, સુવિધાજનક અને સન્માનજનક બનાવવાનો છે.


